Ahmedabad Air India Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયુ, પ્રાથમિક કારણ સામે આવ્યું

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Ahmedabad Air India Plane Crash: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઇ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેક ઓફ કરવા જતાં પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો અને ત્યાર બાદ પ્લેન એક ઈમારત સાથે ટકરાયું હતું.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે આ વિમાન ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી છે.

- Advertisement -

કેવી રીતે થઈ દુર્ઘટના

ઍર ઈન્ડિયાનું AI 171 પ્લેન અમદાવાદથી લંડન માટે ટૅક ઓફ કરતી વખતે પ્લેનના પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો હતો. ત્યાર બાદ ઍરપોર્ટની બાજુમાં આવેલા સ્ટાફ ક્વાટર્સના બિલ્ડીંગ સાથે અથડાયું અને અતુલ્યમ બિલ્ડીંગમાં ઘૂસી ગયું. પ્લેનની એક પાંખ અન્ય બાજુની બિલ્ડીંગમાં ઘૂસી જતા ત્યાં પણ નુકસાન થયુ હતું. પ્લેન જે બિલ્ડીંગમાં અથડાયું હતું તે હવે તૂટી પડવાની અણી પર છે.

- Advertisement -

સિવિલ હોસ્પિટલના તબીબોને ફરજ પર હાજર થવા આદેશ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થઇ ગયા છે.

- Advertisement -

ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરૂ

આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?

પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમને કર્યો કોલ

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. દુર્ઘટનાસ્થળેથી જેવી તસવીરો સામે આવી રહી છે તે વિચલિત કરી દે તેવી છે.

Share This Article