Car Accident in Dahod: દાહોદમાં લગ્ન પ્રસંગે દુર્ઘટના, વરરાજાની બેકાબૂ કાર 15 જાનૈયાઓ પર ફરી વળી

Arati Parmar
1 Min Read

Car Accident in Dahod: દાહોદ નજીક એક લગ્ન પ્રસંગમાં મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં વરરાજાની કાર જાનૈયાઓ ફરી વળતાં દોડધામ મચી જવા પામી હતી. બેકાબૂ બનેલી વરરાજાની કાર લગ્ન મંડપમાં જાનૈયાઓ પર ફરી વળતાં 15 વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મંગળવારે સાંજે મહુડી ગામથી રાયપુરા ગામે જાન આવી હતી. તે  દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુડીથી જાન લઇને રાયપુરા ગામે આવેલા વરરાજાની કાર બેકાબૂ બની અકસ્માત સર્જ્યો હતો. કાર લગ્ન મંડપમાં જાનૈયા પર ફરી વળતાં 15 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઇવર કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. પોલીસે કારના નંબરના આધારે ડ્રાઇવર અને કાર માલિકનો શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકની બેદરકારી લીધે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જોકે બીજી તરફ ટેક્નિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article