Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, પત્નીને એક લાફો મારવો એ કાયદાની નજરમાં ક્રૂરતા નથી

Arati Parmar
2 Min Read

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પતિ દ્વારા પત્નીને એક વાર લાફો મારવાની ઘટનાને ‘ક્રૂરતા’ માની શકાય નહીં. હાઈકોર્ટે આ ટિપ્પણી કરતા નીચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી સજાને રદ કરી દીધી. આ કેસ વર્ષ ૧૯૯૫નો છે. દંપતીના લગ્ન તે જ વર્ષે થયા હતા અને તેઓ વલસાડ જિલ્લામાં રહેતા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ જ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાઈ પર ક્રૂરતા અને ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.

જાણ કર્યા વગર પિયરમાં રોકાવા પર માર્યો હતો લાફો

મૃતકના પિતાએ ફરિયાદમાં કહ્યું હતું કે આરોપી અવારનવાર પાર્ટીઓમાંથી મોડી રાત્રે ઘરે આવતો હતો અને પુત્રી સાથે મારપીટ કરતો હતો. એકવાર તે સાસરે પહોંચ્યો અને પત્નીને જાણ કર્યા વગર પિયરમાં રોકાવા બદલ લાફો મારી દીધો. પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૮એ (દહેજ ક્રૂરતા અને ઉત્પીડન) અને ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ એફઆઈઆર નોંધી હતી. વલસાડની સેશન્સ કોર્ટે ૨૦૦૩માં પતિને દોષિત ઠેરવતા કલમ ૪૯૮એ હેઠળ એક વર્ષ અને કલમ ૩૦૬ હેઠળ સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી.

- Advertisement -

હાઈકોર્ટે પોતાના ફેંસલામાં શું કહ્યું

જોકે, આરોપીએ આ ફેંસલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને પલટાવતા આરોપીના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે માત્ર એક વાર લાફો મારવાની ઘટના, તે પણ પત્નીના જાણ કર્યા વગર પિયરમાં રોકાવાના કારણે, ક્રૂરતાની શ્રેણીમાં આવતી નથી. હાઈકોર્ટે એ પણ માન્યું કે આત્મહત્યા માટે ઉશ્કેરણીના પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

Share This Article