Gujarat Legislative Assembly: સુરતના વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે. તે પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના હાલના ચાલુ સત્રમાં પ્રશ્નોતરીમાં તેમણે રાજ્યના આરોગ્ય વિભાગ પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ‘રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય બાબતે ગંભીર નથી.’
આરોગ્ય વિભાગમાંથી કોઈ જવાબ મળતો નથી
રાજ્યના આરોગ્ય વિભાગ પર આક્ષેપ કરતા ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે, ‘આયુષ્માન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેનું એપૃવલ મળતું નથી. અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ મળતો નથી. શું હાર્ટ ઍટેક ટાઈમ જોઈને આવતા હોય છે.’
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે ‘લેબમાં લેવાયેલા સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવે ત્યાં સુધીમાં તો ખોરાકનું વેચાણ થઈ જાય છે. ભેળસેળ કરતાં તત્ત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. એક વખત કોઈ દુકાનદારને નોટિસ મોકલી હોય તો તેવા દુકાનદાર બીજી વખત નોટિસ ના મોકલવામાં આવે તેવી રીતે કાયદાનું પાલન કરવું જોઈએ.’
કુમાર કાનાણીએ પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પ્રજાનો અવાજ બની અનેક સમસ્યાઓને લઈને છે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. અગાઉ તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

