Gujarat Local Body Election: ગુજરાતના ચાર મહાનગરોમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો, જ્યાં ભાજપના ગઢને ગાબડું પાડવા કોંગ્રેસ અને ‘આપ’ એ એડીચોટીનું જોર લગાવ્યું, અને રવિવારે જનતા તેનો ફેંસલો કરશે

Arati Parmar
5 Min Read

Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી પ્રચાર શુક્રવારની સાંજે પૂરો થઈ ગયો છે. રાજ્યમાં ચાર મોટા શહેરોની મહાનગરપાલિકાઓની સાથે કુલ 393 સ્થાનિક સંસ્થાઓ માટે 26મી એપ્રિલે મતદાન કરવામાં આવશે. ગુજરાતમાં આગામી વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ છે, તેથી આ ચૂંટણીઓને સત્તાની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 15 મહાનગરપાલિકાઓ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે પરંતુ રાજ્યના રાજકારણને પ્રભાવિત કરનારા ચાર મોટા શહેરો પર સૌની નજર ટકેલી છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ સિટી અમદાવાદ (કર્ણાવતી), ડાયમંડ સિટી સુરતની સાથે વડોદરા અને રાજકોટ છે. આ ચારેય શહેરોની મહાનગરપાલિકાઓ પર ભાજપનો કબજો છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોટી વાતો

  • 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે.

  • 26 એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે, 27 એપ્રિલ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

  • 28 એપ્રિલના રોજ પરિણામો જાહેર થશે, 11 નગરપાલિકાઓની 13 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પણ આવશે.

  • પરિણામોમાં કુલ 9,297 બેઠકો પર લડી રહેલા 25,579 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે.

1. અમદાવાદ: શું કોંગ્રેસ પોતાની જમીન બચાવી શકશે?

2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહેલા અમદાવાદમાં શું કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા બચાવી શકશે? આ ચૂંટણીમાં પૂરો દારોમદાર આના પર જ ટકેલો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ બેઠકોની સંખ્યા 192 છે. ગત ચૂંટણીમાં ભાજપને 159 બેઠકો મળી હતી પરંતુ કોંગ્રેસ AIMIM ની હાજરી હોવા છતાં નેતા વિપક્ષ માટે જરૂરી બેઠકો જીતવામાં સફળ રહી હતી. તેને કુલ 25 બેઠકો મળી હતી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને 7 બેઠકો મળી હતી. કોંગ્રેસે શહેઝાદ ખાન પઠાણને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે વૈશ્વિક રમતોની આગવાની કરવા જઈ રહેલા શહેરમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહે છે?

- Advertisement -

2. સુરત: શું ‘આપ’ પ્રદર્શન દોહરાવી શકશે?

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 13 ટકાથી વધુ મત મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બનેલી ‘આપ’ ને ગુજરાતમાં એન્ટ્રી સુરતના રસ્તે મળી હતી ત્યારે પાર્ટીએ સૌને ચોંકાવતા ‘આપ’ ના દિલ્હી મોડલને બતાવીને સુરતમાં 17 બેઠકો જીતીને સનસનાટી મચાવી દીધી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ઘણું બધું બદલાયું છે. ‘આપ’ દિલ્હીની સત્તા ગુમાવી ચૂકી છે. પંજાબ અને દિલ્હી સહિત ‘આપ’ ના સાત રાજ્યસભા સાંસદોના બળવાથી પાર્ટી બેકફૂટ પર છે. એવામાં સુરતમાં શું ‘આપ’ પોતાનું ગત પ્રદર્શન જાળવી શકશે? તેના પર સૌની નજર ટકેલી છે. સુરતમાં કુલ 120 બેઠકો છે. ગત વખતે ભાજપે 103 બેઠકો જીતી હતી, ‘આપ’ ને 17 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી.

3. વડોદરા: શું ભાજપ પકડ જાળવી શકશે?

ગુજરાતની ત્રીજી સૌથી મોટી મહાનગરપાલિકા વડોદરા છે. ગત વખતેની ચૂંટણીઓમાં ભાજપે કુલ 76 બેઠકોમાંથી 69 જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જેનો શ્રેય તત્કાલીન શહેર પ્રમુખ ડો. વિજય શાહને ગયો હતો. 2024 માં વિશ્વામિત્રીમાં પૂર, હરણી બોટ કાંડ અને VMC માં ભ્રષ્ટાચાર તથા ભાજપના બે કોર્પોરેટરોની બળવાખોરી (આશિષ જોશી-પારુલ પટેલ) એ સત્તારૂઢ પક્ષ માટે પડકાર વધાર્યો છે. આ ઉપરાંત ગુજરાતના રાજકારણના શ્રીવાસ્તવ બ્રધર્સ (મધુ શ્રીવાસ્તવ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ) એકસાથે ભાજપની સામે છે. એવામાં શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીની સાથે મુખ્યત્વે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટા અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની શાખ દાવ પર છે. આ ચૂંટણીઓમાં મંત્રી મનીષા વકીલ અને દંડક બાલકૃષ્ણ શુક્લનો પણ ટેસ્ટ થશે. કોંગ્રેસને ગત વખતે 7 બેઠકો મળી હતી, નેતા વિપક્ષનું પદ જતું રહ્યું હતું. આ વખતે જોવાનું રહેશે કે શું કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાનું પદ મેળવી શકશે? આનાથી જ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશીનું ભવિષ્ય નક્કી થશે.

- Advertisement -

4. રાજકોટ: શું ભાજપને ઈજા પહોંચાડશે કોંગ્રેસ?

રાજકોટ ગુજરાતના સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે. અહીંનું રાજકારણ આખા સૌરાષ્ટ્રને પ્રભાવિત કરે છે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ બેઠકોની સંખ્યા 72 છે. ગત વખતે ભાજપે 68 બેઠકો જીતી હતી, વિરોધ પક્ષ બાકીની બેઠકો પર સમેટાઈ ગયો હતો. મે 2024 માં રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ જેવી મોટી ઘટના બની હતી. આની સાથે જ ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજ ભડક્યો હતો. શું આ બંને મુદ્દાઓની અસર સ્થાનિક ચૂંટણીમાં જોવા મળશે? કોંગ્રેસે અહીં ઘણા સારા અને નવા ઉમેદવારો આપ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અહીંથી લડી રહ્યા છે, એવી જ રીતે RJ આભા કોંગ્રેસના ઉમેદવાર છે. સૌરાષ્ટ્રના આ કેન્દ્રને સાધવા માટે ભાજપે પૂરો પ્રયાસ કર્યો છે. રાજકોટની આ ચૂંટણીમાં પહેલીવાર વિજય રૂપાણીની હાજરી નથી, ગયા વર્ષે તેમનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. ચૂંટણીમાં તેમના પત્ની અંજલિ રૂપાણી જરૂર સક્રિય રહ્યા હતા.

Share This Article