અમદાવાદ, તા.28 : ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ લોકો જીવતા ભૂંજાયા છે અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ તો હોઇ કોર્ટે પણ ફાયર સેફટીને લઈને સરકારની ઝાટકાણી કાઢી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં 28 લોકોનાં મૃત્યુ થતાં અરેરાટી મચી જવા પામી છે ત્યારે આ ગોઝારી ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે. સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જેને લઈને કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે.

જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે. આમ બચાવ કામગીરી અને તપાસ બાદ હવે સરકાર ત્રીજા તબક્કામાં એક્શનની ભૂમિકામાં જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. જો કોઈ એકમ પાસે ફાયરની એનઓસી નહી હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ સૂચનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોનની મંજૂરી માટે નવા નિયમો બનાવ્યા છે તે અનુસાર એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બાટિંગ તેમજ રોપ-વેની મંજૂરી માટે નવા નિયમો બનશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે 2 પ્રકારનાં સર્ટિફિકેટ જારી કરાશે. તેમજ તમામ એકમો માટે પ્રાથમિક અને કાયમી એમ 2 પ્રકારનાં સર્ટિફિકેટ લેવા ફરજિયાત બનશે. કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ અલગ સર્ટિફિકેટ લેવાં ફરજિયાત કરવામાં આવશે. તમામ એકમોની ઓનલાઇન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટ વેબસાઇટ પર અધિકારીઓ જોઈ શકશે તેમજ આગામી એક મહિનામાં નવા નિયમો અને સર્ટિફિકેટને લઈ વેબસાઇટની કામગીરી પૂર્ણ કરાશે.

