અમદાવાદઃ ગુજરાતમાં એક અઠવાડિયાથી તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામેલો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક ડીપ ડિપ્રેશન સિસ્ટમ મજબૂત બની હતી, હવે આ ડીપ ડિપ્રેશન સાઈકલોનમાં ફેરવાઈને અરબી સમુદ્ર તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં વરસાદનું જોર પણ ઘટ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 31મી ઓગસ્ટના રોજ કોઇ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી નથી. પહેલી સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
બીજી સપ્ટેમ્બરે વરસાદનું ઓરેન્જ એલર્ટ:
જ્યારે બીજી સપ્ટેમ્બરના મેપ મુજબ ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ત્રીજી સપ્ટેમ્બરે ભરુચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ:
હવામાન વિભાગ દ્વારા ત્રીજી સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોથી સપ્ટેમ્બરે વડોદરા અને ભરૂચમાં વરસાદ:
ચોથી સપ્ટેમ્બરે વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો:
છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર થયેલા ડીપ ડિપ્રેશનના કારણે મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વિવિધ ભાગોને ઘમરોળી રહ્યા હતા. જોકે ગુજરાતના માથે તોળાતો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ગુજરાતના કચ્છ તરફ આવી રહેલ ‘અસના’ વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાયું છે.

