Kalupur Swaminarayan Ram Swami: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતના શિષ્ય રામ સ્વામીના પેન્ટ-શર્ટ પહેરેલા વીડિયો વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે. સંસ્થાએ એવો ખુલાસો કર્યો છે કે રામ સ્વામીએ પોતાની મરજીથી ત્યાગાશ્રમ છોડીને સંસારમાં જવાનું નક્કી કર્યું છે. જોકે, આ ખુલાસાને ઘણા લોકો વાહિયાત ગણાવી રહ્યા છે. રામ સ્વામી આચાર્ય અને લાલજી મહારાજના અત્યંત નજીકના ગણાતા હતા, તેથી આ ઘટનાએ આખા સંપ્રદાયમાં ચર્ચા જગાવી છે. અગાઉ પણ આ સંસ્થાના ચૈતન્ય સ્વામી અને વ્રજ સ્વામી જેવા સાધુઓ વિવાદોમાં આવીને સંસારમાં જઈ ચૂક્યા છે.
રાત્રે રંગીન કપડાં અને દિવસે ભગવા વસ્ત્રોમાં ઐયાશીની પોલ ખુલી
સોશિયલ મીડિયામાં સપ્ટેમ્બર ૨૦૨૫નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રામ સ્વામી અને હાલના કોઠારી મુનિ સ્વામી ગાંધીનગરના એક પાન પાર્લર પાસે પેન્ટ-શર્ટમાં સજ્જ જોવા મળે છે. આ વીડિયો મોડી રાત્રે લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે આ વીડિયો પછી પણ રામ સ્વામી અનેક કાર્યક્રમોમાં ભગવા વસ્ત્રોમાં કથા કરતા જોવા મળ્યા હતા. આનાથી એવું સ્પષ્ટ થાય છે કે આ સાધુઓ લાંબા સમયથી દિવસે ધર્મનો પ્રચાર અને રાત્રે ખાનગીમાં મોજ-મજા કરવાનું બેવડું જીવન જીવી રહ્યા હતા.
૨૪ કલાકમાં જ ‘ગુરુની આજ્ઞા’ લઈ સંસારમાં જવાની વાત ગળે ઉતરે તેવી નથી
સંસ્થાએ દાવો કર્યો છે કે ૨૩ તારીખે રામ સ્વામીએ ગુરુની રજા લઈને સંસારમાં જવાનું નક્કી કર્યું હતું. પરંતુ હકીકત એ છે કે ૨૨ તારીખે રવિવારે યોજાયેલા એક મોટા કાર્યક્રમમાં રામ સ્વામી આચાર્યશ્રીની હાજરીમાં વ્યાસપીઠ પરથી પ્રવચન આપી રહ્યા હતા. અચાનક ૧૨ કલાકમાં જ આવું શું બન્યું કે તેમણે સાધુ વેશ છોડવો પડ્યો? આ બાબતને લઈને અનેક શંકાઓ ઉપજી રહી છે. આક્ષેપ છે કે ભક્તોની દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ભાગી જવાની આવી ઘટનાઓ હવે વારંવાર બની રહી છે.
હોટલ કાંડ અને પરિવાર સાથેના સમાધાનના પ્રયાસો નિષ્ફળ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૩ તારીખની રાત્રે રામ સ્વામી એક મહિલા સાથે હોટલમાં હતા ત્યારે મહિલાના ભાઈએ તેમને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમને એક ખાનગી ફાર્મ હાઉસ અને પછી પોરડા સ્વામિનારાયણ મંદિરે લઈ જઈને સમજાવટના પ્રયાસો થયા હતા. પરિવારજનો સાથે સમાધાન ન થતાં આખરે રામ સ્વામીને પેન્ટ-ટીશર્ટ પહેરાવી ત્યાંથી રવાના કરવામાં આવ્યા હતા. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી જ સંસ્થાએ ખુલાસો કર્યો છે, જે સાબિત કરે છે કે સત્ય છુપાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.

