LPG Tankers Reach India: સુખમીત સિંહ અને ધીરજ કુમાર અગ્રવાલે મહાસાગરોની અનેક યાત્રાઓ કરી છે, પરંતુ મર્ચન્ટ નેવી કમાન્ડર તરીકે તેમની અસલી પરીક્ષા અસ્થિર ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) માં થઈ. હોર્મુઝ આમ તો એક શાંત તેલ અને ગેસ વેપાર માર્ગ છે, પરંતુ હાલ તે ડ્રોન અને મિસાઈલોના પડછાયા હેઠળ છે. અહીં જહાજ વિરોધી બારૂદી સુરંગો બિછાવવામાં આવી છે. સુખમીત અને ધીરજનો ઉદ્દેશ્ય હતો- યુદ્ધગ્રસ્ત માર્ગમાંથી બે વિશાળ ભારતીય LPG ગેસ ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા, જેથી ભારતમાં લોકોને રસોઈ ગેસ મળતો રહે.
એક અઠવાડિયા સુધી ફસાયેલા રહ્યા
સુખમીત દ્વારા સંચાલિત ‘શિવાલિક’ જહાજ સોમવારે ગુજરાતના મુન્દ્રા બંદર પર પહોંચ્યું, જ્યારે ધીરજ ‘નંદા દેવી’ જહાજ ચલાવી રહ્યા હતા, જે મંગળવારે વહેલી સવારે કંડલા બંદરના વદીનાર સુવિધા કેન્દ્ર પર પહોંચ્યું હતું. મોટા પાયે સૈન્ય હુમલાઓને કારણે એક અઠવાડિયાથી વધુ સમય સુધી હોર્મુઝની પશ્ચિમે ફસાયેલા રહ્યા બાદ, તેમણે આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કરી હતી.
શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કરી વાતચીત
27 નાવિકો ધરાવતું ‘શિવાલિક’ અને 30 નાવિકો ધરાવતું ‘નંદા દેવી’ જહાજ 92,000 ટનથી વધુ LPG લઈને ભારતીય બંદરો પર પહોંચ્યા. શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સાહસી ક્રૂ મેમ્બર્સ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી અને કહ્યું કે, “સમુદ્રી મુસાફરો વૈશ્વિક વેપારના અનામી નાયકો (Unsung Heroes) છે. પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને તમે સુનિશ્ચિત કર્યું કે આવશ્યક સામાન સુરક્ષિત રીતે તેના ગંતવ્ય સ્થાને પહોંચે.” ક્રૂ મેમ્બર્સે પડકારજનક સંજોગોમાં અસાધારણ શાંતિ, સતર્કતા અને વ્યવસાયિકતાનું પ્રદર્શન કર્યું હતું.
પંજાબના આદમપુરથી છે સુખમીત
શિપિંગ સેક્રેટરી વિજય કુમારે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક પર જહાજો પરના હુમલાને કારણે ટ્રાફિક ઠપ થઈ ગયો હતો. આ બધું હોવા છતાં, નાવિકોએ અનિશ્ચિતતા વચ્ચે પણ પોતાની ફરજ ચાલુ રાખી હતી. સુખમીત પંજાબના આદમપુરના રહેવાસી છે. તેમના પરિવારે તેમને ડ્યુટી છોડી દેવાની સલાહ આપી હતી, પરંતુ સુખમીતે કહ્યું હતું કે તેઓ કામ પૂરું કર્યા પછી જ ઘરે પરત ફરશે, કારણ કે મહત્વપૂર્ણ સામાન ભારત પાછો લાવવો એ તેમની જવાબદારી હતી.
ઓડિશામાં ધીરજના પરિવારે રાહતનો શ્વાસ લીધો
અધિકારીઓએ જણાવ્યું કે ધીરજ ઓડિશાના બાલાંગીરના કાંટાબાંજીના રહેવાસી છે. તેમના પરિવારે કહ્યું કે ‘નંદા દેવી’ એ હોર્મુઝ પાર કર્યા પછી તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, ભારતના લગભગ 3.2 લાખ નાવિકો છે અને તેમાંથી 90% વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પર કાર્યરત છે, જે તેમની ક્ષમતા દર્શાવે છે.

