Tapi Riverbank Erosion: સુરત જિલ્લામાં મેઘરાજાના મુશળધાર મહેરબાન થયા છે, પરંતુ કામરેજ ગામના લોકો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે. ચાર દિવસ અગાઉ વરસેલા 16 ઈંચ વરસાદને પગલે કામરેજમાં તાપી નદીના કાંઠે વસતા 25 પરિવારોની મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. માછીવાડ ફળિયામાંથી પસાર થતું પાણી સીધું તાપીમાં ભળતું હોવાથી ત્યાં મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. સ્થિતિ એટલી વિકટ છે કે નદી કિનારે આવેલા ઘરોના પાયા હવે ખુલ્લા પડી ગયા છે. પોતાના જીવનની મૂડી સમાન ઘરને નદીના પાણીમાં ગરકાવ થતા જોવાની આશંકાએ સ્થાનિક રહીશોમાં ભારે દહેશતનો માહોલ છે. પરિવારો પોતાના ઘર ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
ઘર ખાલી કરવાની મજબૂરી અને પાળાની માગ
આ ગંભીર પરિસ્થિતિને કારણે અનેક પરિવારોએ ડરના માર્યા પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો છે. જે પરિવારો હજુ ત્યાં જ રહે છે, તેઓ રાત્રે સૂઈ પણ શકતા નથી અને સતત જોખમમાં જીવન વીતાવી રહ્યા છે. સ્થાનિકોની વર્ષોથી એક જ માંગ છે કે નદીના કાંઠે મજબૂત પાળો (રિટાઇનિંગ વોલ) બનાવવામાં આવે. તેમનું કહેવું છે કે જો યોગ્ય પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે, તો જ તેમના ઘર બચી શકે તેમ છે. અત્યાર સુધી માત્ર આશ્વાસનો મળતા આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી ન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ આશ્વાસન આપીને સંતોષ માની રહ્યું છે.
તંત્રની દોડધામ અને ઉકેલની ખાતરી
પરિસ્થિતિની ગંભીરતા જોઈને આખરે સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું છે. કામરેજ તાલુકાના મામલતદાર, પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા સભ્ય મહેશ સોલંકી, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ કૌશલ પટેલ અને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ સ્થાનિકોની વેદના સાંભળી અને આ સમસ્યાનો ઝડપથી કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે તંત્રની આ ખાતરી ક્યારે અમલમાં આવે છે અને આ 25 પરિવારોના ઘરને સુરક્ષિત કરવા માટે રિટાઇનિંગ વોલનું કામ ક્યારે શરૂ થાય છે.

