Fish & Milk Myth: શું માછલી ખાધા પછી તમારા ઘરમાં પણ દૂધ પીવાની ના પાડવામાં આવે છે? જો હા, તો તમે એકલા નથી. મોટાભાગના ભારતીય ઘરોમાં માછલી ખાધા પછી દૂધ પીવાની મનાઈ હોય છે. જૂના સમયથી જ આ ફૂડ કોમ્બિનેશનને સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક ગણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે માછલી અને દૂધ એકસાથે ખાવાથી ત્વચા પર સફેદ ડાઘ થઈ જાય છે, તો વળી કોઈ આ ફૂડ કોમ્બિનેશનને ગેસ અને અપચા જેવી સમસ્યાઓ સાથે જોડે છે. આ માન્યતામાં કેટલું સત્ય છે કે પછી આ માત્ર એક અંધશ્રદ્ધા છે, ચાલો જાણીએ…
સફેદ ડાઘ શું હોય છે?
વિટિલિગો (Vitiligo) એ ત્વચા સંબંધિત એક બીમારી છે, જેમાં ત્વચાના કેટલાક ભાગોનો રંગ ધીમે-ધીમે સફેદ થવા લાગે છે. આ સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ત્વચામાં મેલાનિન બનાવતી કોશિકાઓ, જેને મેલાનોસાઇટ્સ કહે છે, તે કોઈ કારણસર નષ્ટ થઈ જાય છે અથવા યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારી કોઈ પણ ઉંમરે થઈ શકે છે અને શરીરના કોઈ પણ ભાગ પર દેખાઈ શકે છે. આ બીમારી ફૂગના ચેપ (Fungal Infection) અથવા મેલાનોસાઇટ્સ નામની કોશિકાઓ નષ્ટ થવાનું પરિણામ હોય છે, માત્ર માછલી અને દૂધના સંયોજનથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ શકતી નથી.
માછલી અને દૂધને લઈને ફેલાયેલી માન્યતા
આયુર્વેદ અને લોક પરંપરાઓમાં માછલી અને દૂધને “વિરુદ્ધ આહાર” માનવામાં આવ્યો છે. એટલે કે એવો ખોરાક જેનું એકસાથે સેવન કરવું શરીર માટે હાનિકારક ગણાવ્યું છે. આ જ આધાર પર પેઢીઓથી એવો ખ્યાલ ચાલ્યો આવે છે કે બંનેને સાથે ખાવાથી ત્વચાના રોગ, ખાસ કરીને સફેદ ડાઘ થઈ શકે છે. આ માન્યતા એટલી ઊંડી ઉતરી ગઈ છે કે લોકો કોઈ પણ પુરાવા વગર તેને સાચું માની લે છે.
એક્સપર્ટ શું કહે છે?
ત્વચા રોગના નિષ્ણાતો (Dermatologists) ના જણાવ્યા અનુસાર, માછલી અને દૂધનું એકસાથે સેવન કરવાથી સફેદ ડાઘ થવાનો કોઈ ઠોસ વૈજ્ઞાનિક પુરાવો આજ સુધી સામે આવ્યો નથી. નિષ્ણાતોના મતે, વિટિલિગોનું મુખ્ય કારણ ઓટોઇમ્યુન ડિસઓર્ડર (Autoimmune Disorder) છે, જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની જ મેલાનોસાઇટ્સ કોશિકાઓ પર હુમલો કરવા લાગે છે. આ સિવાય આનુવંશિક પરિબળો (Genetic Factors) અને પર્યાવરણીય તત્વો પણ આ બીમારીમાં ભૂમિકા ભજવે છે. અત્યાર સુધી થયેલા કોઈ પણ પ્રમાણિત રિસર્ચમાં માછલી અને દૂધના સંયુક્ત સેવન અને સફેદ ડાઘ વચ્ચે કોઈ સીધો સંબંધ સાબિત થયો નથી.
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદ અનુસાર, દૂધની તાસીર ઠંડી હોય છે જે શરીરને ઠંડક આપે છે. જ્યારે માછલીની તાસીર ગરમ હોય છે અને તે શરીરમાં ગરમાવો જાળવી રાખે છે. આવા સમયમાં જો માછલી અને દૂધને એકસાથે લેવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માછલી અને દૂધને એકસાથે લેવાથી પાચનતંત્ર ખોરવાઈ શકે છે.

