અમદાવાદ, તા. 9 : નરેન્દ્ર મોદી 3.0 સરકાર રચાઇ ગઇ છે. ત્યારે ગુજરાતમાંથી પાંચ સાંસદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ, જેપી નડ્ડા, નવસારીના સાંસદ સીઆર પાટિલ અને પોરબંદર લોકસભાના મનસુખ માંડવિયા અને એસ. જયશંકરને સમાવવામાં આવ્યા છે.

જ્યારે નિમુબેન બાંભણીયાને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે. જોકે ગુજરાતમાં રાજકોટમાં ભારે સરસાઇથી જીતેલા પુરુષોત્તમ રૂપાલા અને દેવાસિંહના પત્તા કપાયા છે. વિદેશમંત્રી એસ. જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના સાંસદ છે.
આમ બે રાજ્યસભાના અને 4 લોકસભાના સભ્ય મંત્રી બન્યા છે. આ વખતે એનડીએની સરકાર ટીડીપી અને જેડીએસના સહયોગથી સરકાર બની છે ત્યારે ગુજરાતને વેઇટેજ ઓછું મળશે તેવું પહેલેથી ચર્ચાતું હતું જે હકીકત બની છે. નોંધનીય છે કે અમિત શાહનો ગાંધીનગર બેઠક પરથી લગભગ 731444 વોટથી વિજય થયો હતો. તેમણે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી ચૂકેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 40 વર્ષથી સક્રીય છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે નવસારી લોકસભા બેઠક પરથી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો. તો બીજી બાજુ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા પૂનમબેન માડમને બદલે ભાજપે ભાવનગર બેઠક પરથી જીતેલા નિમુબેન બાંભણિયા પર પસંદગી ઉતારી છે. જેમણે 4.55 લાખ મતની લીડ સાથે જીત હાંસલ કરી હતી.

