નવી દિલ્હી, તા. 21 : ઉત્તરપ્રદેશની યોગી સરકારે કાવડયાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોનાં નામ અને મોબાઇલ નંબર લખવાનો આદેશ આપતાં સર્જાયેલા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. `એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલરાઇટ્સ’ નામની એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને યોગી સરકારના આદેશને રદ કરવાની માંગ કરી હતી.

સંસ્થાની આ અરજી પર સુપ્રીમના ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય અને એસવીએન ભટ્ટીની ખંડપીઠ આવતીકાલે સોમવારે સુનાવણી કરશે. વિપક્ષે યોગી આદિત્યનાથ સરકારના `નેમ પ્લેટ’ સંબંધિત આદેશનો વિરોધ કરતાં તેને સાંપ્રદાયિક લેખાવ્યો હતો અને ભાજપ પર ભાગલાવાદી રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.
બીજી તરફ પ્રદેશ સરકારના આદેશની વકીલાત કરતાં કેસરિયા પક્ષે કહ્યું હતું કે, હિન્દુઓને પણ પોતાની આસ્થાની શુદ્ધતા જાળવી રાખવાનો એટલો જ અધિકાર છે જેટલો અન્ય ધર્મના લોકોને છે. પહેલાં આ આદેશ મુઝફ્ફર નગર પોલીસે માત્ર કાવડયાત્રાના માર્ગો પરની દુકાનો તેમજ ભોજનાલયો માટે આપ્યો હતો. વિપક્ષી છાવણીના વિરોધ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર રાજ્યમાં `નેમ પ્લેટ’નો આદેશ લાગુ કરી દીધો હતો.

