ચેન્નઈ: ભારતીય વાયુસેનાના 92માં સ્થાપના દિવસના એક દિવસ પહેલા રવિવારે ચેન્નાઈમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોવા માટે મરિના બીચ પર હજારો લોકો એકઠા થયા હતા. ભારે ભીડ અને ગરમીના કારણે 5 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન AIADMK નેતા કોવઈ સાથ્યાને તમિલનાડુની સ્ટાલિન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમના રાજીનામાની માંગ કરી અને આ ઘટનાને ડીએમકે સરકારની ગેરવહીવટ ગણાવી હતી.
સાથ્યાને કહ્યું કે જ્યારે તમારે ત્યાં અયોગ્ય મુખ્ય પ્રધાન હોય, ત્યારે તેમનું મંત્રીમંડળ પણ અયોગ્ય જ હશે. તમે એમનાથી સારા પરિણામોની અપેક્ષા રાખી ન શકો. એમકે સ્ટાલિન અને તેમનો પરિવાર એર-કંડિશનરમાં બેસીને એર શોની મજા માણી રહ્યો હતો, જ્યારે લોકોએ એર શો જોવા માટે 5-10 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રાફિક અધિકારીઓના નબળા સંકલનના કારણે લાખો લોકો ચેન્નાઈમાં અટવાઈ ગયા. શહેરના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ નોંધાઈ હતી, કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. મરિના બીચ પર એકઠી થયેલી વિશાળ ભીડને કાર્યક્રમ પછી વિખેરવા માટે પોલીસને મેહનત કરવી પડી હતી.

