Amit Shah Targets Rahul: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બની ગયું છે. કોંગ્રેસે ભાજપ પર ‘વોટ ચોરી’ અને ચૂંટણીમાં ગરબડના આરોપ લગાવ્યા, તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેનો જોરદાર જવાબ આપતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. કોલકાતામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરતા શાહે કહ્યું કે કોંગ્રેસ સતત હારથી ગભરાઈ ગઈ છે અને હવે ચૂંટણી પ્રક્રિયાને જ બદનામ કરવાની કોશિશ કરી રહી છે.
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપને મળેલી બમ્પર જીત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગળે ઉતરી રહી નથી. બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે સંસદમાં દરેક છઠ્ઠો સાંસદ (ભાજપનો) વોટ ચોરીથી જીત્યો છે. તેમણે કહ્યું છે કે જો નિષ્પક્ષ ચૂંટણી થશે તો ભાજપ 140 બેઠકો પણ જીતી શકશે નહીં. રાહુલના આરોપો પર જ અમિત શાહે પલટવાર કર્યો છે.
Live from West Bengal BJP Legislature Party meeting.
পশ্চিমবঙ্গ বিজেপি বিধায়ক দলের বৈঠক থেকে সরাসরি। https://t.co/prZv2smKCV
— Amit Shah (@AmitShah) May 8, 2026
ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ઘણી જગ્યાએ ચૂંટણી જીતી રહી નથી. અત્યારે પણ તેમને ખબર પડી ગઈ છે કે ચૂંટણી જીતવી અશક્ય છે તો ચૂંટણીની પ્રક્રિયાને જ બદનામ કરી દો, એટલા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની હાર છુપાવવા માટે ક્યારેક EVM, ક્યારેક વોટ ચોરી, ક્યારેક મતદાર યાદી, ક્યારેક SIR આ બધું કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી
‘ક્યારેક EVM, ક્યારેક વોટર લિસ્ટ પર સવાલ’
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ઘણા વર્ષોથી દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણી જીતી શકતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે હાર બાદ કોંગ્રેસ નેતાઓએ ક્યારેક ઇવીએમ, ક્યારેક મતદાર યાદી અને ક્યારેક એસઆઈઆર જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવીને લોકશાહી પ્રક્રિયાને કઠેડામાં ઉભી કરવાનો પ્રયાસ કર્યો. શાહે કહ્યું કે જનતાનો જનાદેશ સ્વીકારવાને બદલે વિપક્ષ સતત બહાના શોધી રહ્યો છે.
‘1967થી તમિલનાડુમાં કોંગ્રેસના સીએમ નથી’
ગૃહ મંત્રીએ કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું કે જો દરેક હારને ‘વોટ ચોરી’ કહેવામાં આવે, તો પછી કોંગ્રેસે એ જણાવવું જોઈએ કે તમિલનાડુમાં 1967થી તેનો મુખ્યમંત્રી કેમ બની શક્યો નથી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 49 વર્ષ, મહારાષ્ટ્રમાં 12 વર્ષ, સિક્કિમમાં 42 વર્ષ, નાગાલેન્ડમાં 33 વર્ષ, બિહારમાં 36 વર્ષ, ગુજરાતમાં 30 વર્ષ અને ઓડિશામાં 26 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે. શાહે કટાક્ષ કરતા કહ્યું કે જો આ બધું વોટ ચોરી છે, તો પછી કોંગ્રેસના સાથી પક્ષો પણ તે જ ‘ચોરી’ માં સામેલ છે, કારણ કે તેઓ બધા ઈન્ડી ગઠબંધનનો હિસ્સો છે.
‘કોંગ્રેસને આત્મચિંતનની જરૂર’
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી હાર પર આત્મચિંતન કરવાની જરૂર છે, નહીં કે લોકશાહી સંસ્થાઓ પર સવાલ ઉઠાવવાની. તેમણે કહ્યું કે ભાજપની જીત જનતાના ભરોસા અને વિકાસની રાજનીતિની જીત છે. શાહના આ નિવેદન બાદ બંગાળના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દોર વધુ તેજ થયો છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપ પર લોકશાહીને નબળી પાડવાના આરોપોનું પુનરાવર્તન કર્યું છે.

