બાંગલા સરકાર હિન્દુઓ સામે હિંસાના મુદ્દે ઘેરાઈ

Reena Brahmbhatt
1 Min Read

ઢાકા, તા. 10 : બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડયાના ત્રણ મહિના બાદ ત્યાંની વચ્ચગાળાની સરકારની સ્થિતિ ખરાબ ચાલી રહી છે. ત્યાં વસતા હિંદુઓ પર હુમલાને લઈ ચારેબાજુએથી ઘેરાયેલા બાંગલાદેશની સરકાર વિરુદ્ધ હસીનાની આવામ લીગે હવે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવી 800 પાનાના પુરાવા રજૂ કર્યા હતા.

એક મીડિયા હેવાલ મુજબ, આવામ લીગના નેતા અને સિલહતના પૂર્વ મેયર અનવરુજ્જમાં ચૌધરીએ વીડિયો સંદેશ જારી કરી કહ્યું હતું કે, 5થી 8 ઓગસ્ટ સુધી બાંગલાદેશમાં છાત્ર આંદોલનના નામે નરસંહાર થયો છે, ત્યાં રહેતા હિંદુ, ઈસાઈ, બૌદ્ધ અને પોલીસને નિશાન બનાવાયા, જે મુદ્દે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને 61 અન્ય વિરુદ્ધ નેધરલેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં પહોંચ્યા છીએ. તે ઉપરાંત તેમણે આઈસીસીમાં ફરિયાદ કરતાં 800 પાનાના સંલગ્ન પુરાવા અને તથ્ય પણ રજૂ કરી દીધા છે.

- Advertisement -

ચૌધરીએ જણાવ્યું કે, આઈસીસીમાં વધુ 15 હજાર ફરિયાદ નોંધાવાશે, જેની તૈયારી પણ ચાલી રહી છે તેમ પણ ઉમેર્યું હતું. નોંધનીય છે કે, બાંગલાદેશની અંતરિમ સરકારે શનિવારે આવામી લીગને ફાસીવાદી ઘોષિત કરી દેતાં કહ્યું હતું કે, અમે હસીનાના પક્ષને રવિવારે રેલી આયોજિત કરવાની મંજૂરી નહીં આપીએ. દેશમાં હિંસા કે કાયદાનો ભંગ ચલાવી લેવાશે નહીં.

Share This Article