Bharat Bandh 2026: સંયુક્ત કિસાન મોરચા (SKM) અને દેશની ૧૦ મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત–અમેરિકા વચગાળાના વેપાર કરાર, કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને નવા શ્રમ કાયદાના વિરોધમાં ૧૨ ફેબ્રુઆરીએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. આ આંદોલનને INTUC, AITUC, CITU, HMS સહિત અનેક રાષ્ટ્રીય યુનિયનોનું સમર્થન પ્રાપ્ત છે. સંગઠનોનો દાવો છે કે અંદાજે ૩૦ કરોડ મજૂરો આ હડતાળમાં ભાગ લઈ શકે છે.
બંધના સમર્થનમાં અનેક બેંક યુનિયનો પણ સામેલ થવાથી દેશભરમાં બેંકિંગ સેવાઓ પર અસર પડવાની આશંકા છે. AIBEA, AIBOA અને BEFI જેવી યુનિયનોએ હડતાળમાં જોડાવાનો નિર્ણય લીધો છે, જેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામગીરી ધીમી રહી શકે છે.
બંધનું કારણ: કયા મુદ્દાઓ પર આંદોલન?
અનેક કિસાન, મજૂર અને કર્મચારી સંગઠનોએ ભારત બંધને સમર્થન આપતા કેન્દ્ર સરકારની નીતિઓ પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે. મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
ભારત–અમેરિકા વચગાળાના વેપાર કરારનો વિરોધ.
ચાર નવા લેબર કોડ પરત ખેંચવાની માંગ.
સરકારી સાહસોના ખાનગીકરણનો વિરોધ.
જૂની પેન્શન યોજના (OPS) ની પુનઃસ્થાપના.
લઘુત્તમ વેતનમાં વધારો.
બાંધકામ અને વીજળી ક્ષેત્રના મજૂરોના અધિકારોની સુરક્ષા.
કૃષિ સંબંધિત કાયદા અને નીતિઓમાં ફેરફારની માંગ. અનેક રાજ્યોમાં બસ, ઓટો-રિક્ષા અને ટ્રક યુનિયનો પણ હડતાળમાં જોડાય તેવી શક્યતા છે, જેનાથી પરિવહન સેવાઓ પર મોટી અસર પડી શકે છે.
કઈ સેવાઓ પર અસર પડશે?
૧. પરિવહન સેવાઓ: અનેક રાજ્યોમાં બસ, ઓટો અને લોરી ડ્રાઈવર યુનિયનોના સમર્થનને કારણે જાહેર અને ખાનગી પરિવહન પ્રભાવિત થઈ શકે છે. મોટા શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ આવવાની શક્યતા છે.
૨. બેંકિંગ સેવાઓ: જાહેર ક્ષેત્રની બેંકોમાં કાઉન્ટર સેવાઓ ધીમી રહી શકે છે. ચેક ક્લિયરન્સમાં વિલંબ થવાની આશંકા છે. જોકે, બેંકો સત્તાવાર બંધ રહેશે નહીં અને ઓનલાઇન વ્યવહાર તથા એટીએમ સેવાઓ સામાન્ય રહેશે.
૩. બજાર અને વેપાર: અનેક વેપારી સંગઠનો અને મંડીઓએ હડતાળને નૈતિક સમર્થન આપ્યું છે, જેના કારણે મોટા શહેરોમાં જથ્થાબંધ અને છૂટક બજારો આંશિક અથવા સંપૂર્ણ રીતે બંધ રહી શકે છે.
૪. સરકારી કચેરીઓ: ટ્રેડ યુનિયનોનો વધુ પ્રભાવ હોય તેવા વિભાગોમાં કર્મચારીઓની હાજરી ઓછી રહેવાની શક્યતા છે, જેનાથી સરકારી કામકાજ ધીમું થઈ શકે છે.
૫. શાળાઓ અને કોલેજો: સુરક્ષા અને પરિવહનની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, કેટલાક રાજ્યોમાં જિલ્લા વહીવટીતંત્ર શાળા-કોલેજોમાં રજા જાહેર કરી શકે છે.
કઈ સેવાઓ સામાન્ય રહેશે?
એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને અન્ય કટોકટીની સેવાઓ.
ફાયર બ્રિગેડ વિભાગ.
હવાઈ મુસાફરી અને એરપોર્ટ કામગીરી.
ડિજિટલ બેંકિંગ અને એટીએમ.
શું બેંકો સત્તાવાર રીતે બંધ રહેશે?
ના. ભારતીય રિઝર્વ બેંક કે અન્ય કોઈ બેંકે ૧૨ ફેબ્રુઆરીએ રજા જાહેર કરી નથી. શાખાઓ ખુલ્લી રહેશે, પરંતુ યુનિયનોની ભાગીદારીને કારણે સેવામાં વિક્ષેપ પડી શકે છે.
જો તમે ૧૨ ફેબ્રુઆરીએ બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા શહેરની પરિવહન વ્યવસ્થાની સ્થિતિ પહેલા તપાસી લો. બેંકિંગ સંબંધિત કામો ઓનલાઇન પતાવવાનો પ્રયાસ કરો અને બજાર કે સરકારી કચેરી જતા પહેલા સ્થાનિક અપડેટ્સ ચોક્કસ જોઈ લો.

