BJP leader murder: ભાજપના અંબેહટા મંડલ ઉપાધ્યક્ષની શુક્રવારે (7 નવેમ્બર) મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. મૃતકની ઓળખ 65 વર્ષીય ધરમ સિંહ કોરી તરીકે થઈ છે, જેઓ ભાજપના અનુસૂચિત મોરચાના મંડળ અધ્યક્ષ પણ હતા.
શું હતી ઘટના?
મૃતકના દીકરા અને ભાજપના અનુસૂચિત મોરચાના મંડળ અધ્યક્ષ સુશીલ કોરીએ જણાવ્યું કે, તેમના પિતા ધરમ સિંહ કોરી રાત્રે સમયે ગામ ટિડૌલી સ્થિત પોતાના ઘરે સૂતા હતા. સવારે જ્યારે તેમની પત્ની સુનીતાબેને ઘરમાં જોયું તો ખાટલા પાસે લોહી વહેતું હતું. તેમણે બૂમાબૂમ કરતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા અને જોયું તો ધરમ સિંહ કોરીના માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મૃતકના મોટા દીકરાએ જણાવ્યું કે, રાત્રે લગભગ 2:00 વાગ્યે તેમને શ્વાનના ભસવાનો અવાજ અને ફટાકડા જેવો અવાજ આવ્યો હતો. ગામમાં તે સમયે બે લગ્ન હોવાથી આતિશબાજી થઈ રહી હશે એમ સમજીને પરિવારજનો ઘરમાં જ સૂતા રહ્યા હતા. સવારે ઘરે પહોંચ્યા બાદ હત્યાની ઘટનાની જાણ થઈ.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

