Digital Census 2027 India: જનગણના ૨૦૨૭નો પ્રથમ તબક્કો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરોની યાદી બનાવવાના અભિયાન સાથે આ વર્ષે ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. બુધવારે જાહેર કરાયેલા એક સરકારી જાહેરનામામાં આ જાણકારી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ૩૦ દિવસનો સમયગાળો નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે ઘરોની યાદી બનાવવાનું ૩૦ દિવસનું અભિયાન શરૂ થતા પહેલાના ૧૫ દિવસના સમયગાળામાં સ્વ-ગણતરી (સેલ્ફ-એન્યુમરેશન) કરવાનો વિકલ્પ પણ રહેશે. દર દસ વર્ષે યોજાતી જનગણના કોવિડ-૧૯ મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી હતી. આ અગાઉ ૨૦૨૧માં યોજાવાની હતી.
ડિજિટલ જનગણના બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે
એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઘરોની યાદી બનાવવી અને આવાસ ગણતરી, અને ફેબ્રુઆરી ૨૦૨૭માં વસ્તીની ગણતરી. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, કેન્દ્ર સરકાર જાહેરાત કરે છે કે ભારતની જનગણના ૨૦૨૭ હેઠળ ઘરોની યાદી બનાવવાનું કાર્ય ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા નિર્દિષ્ટ ૩૦ દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવશે.
પ્રથમ વખત જનગણના ડિજિટલ થશે
જણાવી દઈએ કે પ્રથમ વખત જનગણના ડિજિટલ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર થવાની સાથે જ ઔપચારિક રીતે તે દસ વાર્ષિક પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં કોવિડ મહામારીને કારણે ૨૦૨૧ની જનગણનામાં વિલંબ થયો હતો. ગયા વર્ષે ૧૨ ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ૧૧,૭૧૮.૨ કરોડ રૂપિયાના ખર્ચે ભારતની જનગણના ૨૦૨૭ આયોજિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નવીનતમ જનગણનાના વસ્તી ગણતરીના તબક્કામાં જ્ઞાતિ આધારિત ઓળખને પણ સામેલ કરવામાં આવશે.

