નવી દિલ્હી, તા. 7 : સંબંધોમાં તાણને ખતમ કરવાની શુભ ચેષ્ટારૂપે ભારત પ્રવાસે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. મોદીએ માલદીવને મિત્ર ગણાવ્યું હતું, તો ભારતની સુરક્ષાને નુકસાન નહીં થવા દઈએ, તેવાં વચનો સાથે મુઈજ્જુએ મોદીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

આ અવસરે માલદીવમાં ચાલી રહેલી ભારતીય યોજનાઓનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજે માલદીવની જરૂરિયાત મુજબ 40 કરોડ અમેરિકી ડોલરની મહત્ત્વપૂર્ણ મુદ્રા વિનિમય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા હતા. મોદી અને મુઈજ્જુએ માલદીવના હની માધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સાથોસાથ ભારતના સહયોગથી માલદીવમાં નિર્મિત 700 સામાજિક આવાસ પણ દ્વિપક્ષીય મુલાકાત દરમ્યાન સોંપાયા હતા. બે દેશ વચ્ચે અન્ય એક `મૈત્રીના સેતુ’ સમાન પહેલમાં માલદીવમાં ભારતના `રૂપે’ કાર્ડથી ચૂકણવીની શરૂઆત થઈ હતી. આવી પ્રથમ લેવડદેવડના મોદી અને મુઈજ્જુ સોમવારે સાક્ષી બન્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ માલદીવમાં `રૂપે કાર્ડ’ લોન્ચ કરાયું હતું. હવે ભારત અને માલદીવ `રૂપે’ કાર્ડથી જોડાઈ જશે. વડાપ્રધાને એવી જાણકારી આપી હતી કે, માલદીવના અહુમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને બેંગ્લોરમાં માલદીવ વાણિજ્ય દૂતાવાસ ખોલવા પર ચર્ચા થઈ હતી. અમે માલદીવના સંરક્ષણ દળોના સૈનિકોને તાલીમ આપવા સાથે ક્ષમતા વધારવામાં સહયોગ આપવાનું ચાલુ રાખશું, તેવું મોદીએ કહ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માલદીવ આવવા માટે આમંત્રણ આપું છું. મોદીજી અને તેમની સરકારનો માલદીવની મદદ માટે આભાર માનું છું.

