Gadchiroli Tribal Hostel Snake Bite: ગઢચિરોલી હોસ્ટેલ દુર્ઘટના: જમીન પર સૂતી વિદ્યાર્થીનીઓને સાપે ડંખ માર્યો, 3ના મોત બાદ કાર્યવાહી
Gadchiroli Tribal Hostel Snake Bite: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે (11 ઑગસ્ટ) ગઢચિરોલીની એક સરકારી સહાયપ્રાપ્ત આવાસીય શાળાનું લાઇસન્સ કાયમી રીતે રદ કરવાનો આદેશ આપ્યો. આ શાળામાં સાપના ડંખથી ત્રણ વિદ્યાર્થીનીઓના મોત થયા હતા.
આ ઘટના સોમવાર રાત્રે ધનોરા તાલુકાના જપતલાઈ ગામમાં આવેલી આદિવાસી આવાસીય શાળા હોસ્ટેલમાં બની હતી. હોસ્ટેલમાં જમીન પર સૂતી સગીર વિદ્યાર્થીનીઓને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેમાંથી 8, 12 અને 14 વર્ષની ત્રણ વિદ્યાર્થીનીઓના મોત થયા.
અહેવાલ મુજબ, આશ્રમ શાળામાં ઘટના સમયે 65 વિદ્યાર્થીનીઓ હાજર હતી. સાપે તેમાંની છ વિદ્યાર્થીનીઓને ડંખ માર્યો. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રીજી વિદ્યાર્થીનીએ હોસ્પિટલ લઈ જતી વખતે અંતિમ શ્વાસ લીધો. ચોથી વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
સૌથી નજીકની હોસ્પિટલ 10 કિલોમીટર દૂર છે. અહેવાલ મુજબ, વરસાદના કારણે પહેલેથી જ ખરાબ રસ્તાની સ્થિતિ વધુ બગડી ગઈ હતી, જેના કારણે હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થયો.
સાપના ડંખનો ભોગ બનેલી વિદ્યાર્થીનીઓમાં સામેલ 12 વર્ષની દીપિકા મડાવીને એરલિફ્ટ કરીને નાગપુર લઈ જવામાં આવી. હાલમાં તેને સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ના બાળ ગહન સારવાર વિભાગ (PICU) માં દાખલ કરવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, તેની હાલત સ્થિર છે.
ઘાયલ વિદ્યાર્થીનીઓ સાથે એ જ હોલમાં સૂતી અન્ય 15 વિદ્યાર્થીનીઓ પણ આઘાતમાં છે અને તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. સાપની ઓળખ કોમન ક્રેટ તરીકે થઈ હતી, જેને પકડીને મારી નાખવામાં આવ્યો.
અનિલ સહારે, જે છેલ્લા 26 વર્ષથી જપતલાઈ શાળામાં જોડાયેલા છે અને ગણિત તથા મરાઠી ભણાવે છે, તેમણે સ્વીકાર્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ વોર્ડન હાજર નહોતા. સહારેએ જણાવ્યું, ‘અમે તે સવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ રવિવાર હોવાથી શિક્ષક સ્ટાફ ઘરે ચાલ્યો ગયો હતો. મારું ઘર શાળાથી લગભગ 2 કિલોમીટર દૂર છે.’
એડિશનલ આદિવાસી કમિશનર આયુષી સિંહે જણાવ્યું કે એક ટીમે શાળાની મુલાકાત લીધી અને સુરક્ષા તથા માળખાકીય સુવિધાઓ સંબંધિત અનેક ખામીઓ ઓળખી છે. પ્રિન્સિપલ તથા પુરુષ અને મહિલા વોર્ડનને નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત, સંચાલનના પ્રતિનિધિને પણ કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી છે.
સિંહે જણાવ્યું, ‘અમે આદિવાસી વિકાસ વિભાગના સ્તરે સુધારાત્મક કાર્યવાહી પણ શરૂ કરી છે. આ આશ્રમ શાળાઓનું થર્ડ પાર્ટી ઑડિટ કરાવવા ઉપરાંત વિદર્ભ વિસ્તારની તમામ સરકારી સહાયપ્રાપ્ત શાળાઓનું વેરિફિકેશન કરવામાં આવશે.’
બેડની અછતનો મુદ્દો અગાઉથી ઉઠાવવામાં આવ્યો હતો
ગઢચિરોલીના કલેક્ટર અવિશ્યંત પાંડાએ જણાવ્યું, ‘આ એક સરકારી સહાયપ્રાપ્ત ખાનગી આશ્રમ શાળા છે, જેનું સંચાલન એક ટ્રસ્ટ કરે છે. તેમણે નક્કી કરાયેલા નિયમોનું પાલન કર્યું નહોતું અને રાત્રે બારી ખુલ્લી રાખી હતી. માનવામાં આવે છે કે સાપ આ જ બારીમાંથી અંદર આવ્યો હતો. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.’
સરકારે મૃત વિદ્યાર્થીનીઓના પરિવારને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રાહત કોષમાંથી પણ એટલી જ રકમ આપવામાં આવશે.
આ શાળાની શરૂઆત 1992માં થઈ હતી અને હાલમાં અહીં 233 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જણાવાયું છે કે અહીં બાળકો જમીન પર પાથરેલી ચટાઈઓ પર સૂતા હતા. અહેવાલ મુજબ, એક શિક્ષકે જણાવ્યું કે તેઓ પ્રિન્સિપલ સમક્ષ બેડની અછતનો મુદ્દો સતત ઉઠાવી રહ્યા હતા. તેમણે જણાવ્યું, ‘અમને કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને પોલ ઉત્સવ (સપ્ટેમ્બર) પછી બેડ આપવામાં આવશે.’
ગઢચિરોલીના આદિવાસી બહુમતી ધરાવતા જપતલાઈ ગામમાં આવેલી આ શાળામાં થયેલા મોત બાદ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષે મહારાષ્ટ્રની આદિવાસી આવાસીય શાળાઓની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, મહાયુતિ સરકારે રાજ્યની 500થી વધુ આશ્રમ અથવા આદિવાસી આવાસીય શાળાઓનું થર્ડ પાર્ટી ઑડિટ કરાવવાની જાહેરાત કરી છે.
આ શાળાનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેના સચિવ સ્થાનિક કોંગ્રેસ નેતા વિશ્વજીત મારોતરાવ કોવાસે છે. સોમવારે બપોરે જ્યારે ગઢચિરોલીના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય અનુક્રમે અશોક નેતે અને મિલિંદ નોરોટે આશ્રમ શાળાએ પહોંચ્યા, ત્યારે ગામલોકોએ તેમને ઘેરી લીધા અને ન્યાયની માંગ કરી.

