Gujarat Political Donation Controversy: રાજકારણમાં અજાણી પાર્ટીઓને મળતા ભારે ભરખમ ચંદા અંગે અનેક પાર્ટીઓએ પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પૂછ્યું છે કે શું આ મામલે નાણાં મંત્રાલય અને અન્ય એજન્સીઓ તપાસ કરશે.
જ્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે ‘આ ચંદો આ પાર્ટીઓ દ્વારા BJPને મળ્યો છે.’
BBCના એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ભારતની એવી અનેક રાજકીય પાર્ટીઓ વિશે જાણવા મળ્યું કે ચૂંટણીલક્ષી રાજકારણમાંથી લગભગ ગાયબ રહેવા છતાં તેમને કરોડો રૂપિયાનો ચંદો મળ્યો છે.
BBCનો રિપોર્ટ સામે આવ્યા બાદ અનેક વિપક્ષી પક્ષો અને નેતાઓએ આ રાજકીય પક્ષોને મળેલા ચંદા પર સવાલ ઉઠાવ્યા છે.
કેટલાક વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોએ પણ રિપોર્ટનો ઉલ્લેખ કરીને આ પાર્ટીઓની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે.
સંજય સિંહે શું કહ્યું
સંજય સિંહે ઉત્તર પ્રદેશના લખનઉમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું, “જે પક્ષોને આ મોટો ચંદો મળ્યો છે, તેમની કચેરીઓ ગુજરાતમાં છે. હું સીધો આરોપ લગાવી રહ્યો છું કે આ ચંદો ‘ચંદા ચોર પાર્ટી’ BJPને મળ્યો છે.”
“TM Cના સાંસદ સાકેત ગોખલેને EDએ 500 રૂપિયાના મામલે જેલમાં નાખી દીધા હતા, મને અને અમારી પાર્ટીના નેતાઓને જેલમાં નાખી દીધા હતા, પરંતુ આટલો મોટો ભ્રષ્ટાચાર થયો, છતાં એક વ્યક્તિને પણ જેલ થઈ નથી. ન તો EDની તપાસ થઈ અને ન તો CBIની.”
તેમણે આ મામલે ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યો.
સંજય સિંહે કહ્યું, “આ મામલે ચૂંટણી પંચે કોઈ પગલું લીધું નથી. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કુંભકર્ણની ઊંઘમાં સૂઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ તેને ‘BJPના ચંદાની રમત’ ગણાવી છે.
AAPએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું, “BJPના ચંદાની નવી રમત ખુલ્લી પડી! ગુજરાતની 6 નાની, બિન-માન્યતા પ્રાપ્ત પાર્ટીઓને 1,700 કરોડ રૂપિયાનો ચંદો, જ્યારે BJP સિવાયની રાષ્ટ્રીય પાર્ટીઓને કુલ 1,480 કરોડ રૂપિયા!”
AAPએ લખ્યું, “BBCના રિપોર્ટ અનુસાર, ઇન્કમ ટેક્સે આ પાર્ટીઓની તપાસ પણ કરી નથી. શું BJP દ્વારા કાળા નાણાંને સફેદ કરવાની રમત ચાલી રહી છે?”
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસ સેવા દળે કહ્યું છે કે જો આ પક્ષોના તાર સત્તામાં બેઠેલા લોકો સાથે જોડાયેલા હોય, તો આ માત્ર ચંદાનો મામલો નથી, પરંતુ લોકશાહી સાથે મોટી રમત છે.
કોંગ્રેસ સેવા દળે X પર લખ્યું, “ગુજરાતની નવી રાજકીય ચંદાની રમત? નાની-નાની પાર્ટીઓ, હજારો કરોડનો ચંદો, મત સેંકડામાં પણ નહીં, અને પછી કચેરી બંધ, ફોન બંધ! 620 કરોડ રૂપિયાનો ચંદો મેળવનારી ‘આમ જનમત પાર્ટી’, જેની કચેરી બંધ, અધ્યક્ષ ગાયબ અને ખજાનચી કહે છે કે તેને કંઈ ખબર નથી!”
“બીજી તરફ, મુખ્ય વિપક્ષી રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસને માત્ર 125 કરોડ રૂપિયા મળ્યા. તે જ દરમિયાન કોંગ્રેસના ખાતામાં પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી 156.4 કરોડ રૂપિયા આવ્યા, જે રાષ્ટ્રીય પાર્ટીઓને મળે છે.”
“જો આ પાર્ટીઓના તાર સત્તાની નજીક બેઠેલા લોકો સાથે જોડાયેલા હોય, તો આ માત્ર ચંદાનો મામલો નથી, લોકશાહી સાથે મોટી રમત છે.”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કટાક્ષ કરતાં X પર લખ્યું, ‘મોદી છે તો બધું શક્ય છે.’
તેમણે લખ્યું, “વર્ષ 23-24માં આમ જનમત પાર્ટીને કોંગ્રેસ પાસેથી પણ ચંદો આવ્યો. શું ચૂંટણી પંચ આ પાર્ટીના બેંક અકાઉન્ટની તપાસ કરશે? શું નાણાં મંત્રાલય તેની ED અને IT વિભાગ દ્વારા તપાસ કરાવશે?”
“આ પાર્ટી હવે બિહારથી ગુજરાત આવી ગઈ છે. પરંતુ 620 કરોડ રૂપિયા બેંક અકાઉન્ટમાં ધરાવતી પાર્ટી હવે ક્યાં છે? તેનું અકાઉન્ટ હજુ પણ ચાલુ છે. ચંદો હજુ પણ સ્વીકારવામાં આવી રહ્યો છે! મોદી છે તો બધું શક્ય છે.”
પાર્ટીઓએ પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા
ઝારખંડ મુક્તિ મોરચાએ X પોસ્ટ દ્વારા આ મામલે સવાલ ઉઠાવ્યા. પાર્ટીએ પૂછ્યું કે આખરે આ પક્ષોને આટલા પૈસા કોણે આપ્યા.
ઝારખંડ મુક્તિ મોરચાએ X પોસ્ટમાં લખ્યું, “BJPનું ગુજરાત મોડલ… આ જાહેરમાં લોકશાહીની ચીરફાડ નથી તો બીજું શું છે? ગુજરાતમાં આ કઈ પાર્ટીઓ છે જેને હજારો કરોડ રૂપિયા ચંદો મળ્યો અને મત નહિવત્ મળ્યા. આટલા હજારો કરોડનો ચંદો આખરે કોણે આપ્યો? કોના ઈશારે આપ્યો? અને શા માટે આપ્યો?”
સમાજવાદી પાર્ટીના બદાયૂંથી સાંસદ આદિત્ય યાદવે X પર લખ્યું, “એક રાજકીય પાર્ટીને એક જ નાણાકીય વર્ષમાં કથિત રીતે 620 કરોડ રૂપિયાનો ચંદો મળી જાય અને છતાં તેના પર કોઈ નક્કર સવાલ ન ઉઠે તો સવાલ માત્ર ચંદાનો નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાની પારદર્શિતાનો છે.”
તેમણે પૂછ્યું, “આટલા પૈસા ક્યાંથી આવ્યા? કોણે આપ્યા? કયા હેતુથી આપ્યા? ક્યાં ખર્ચાયા? પાર્ટીનું સરનામું અને માળખું કેમ બદલાયું? અને સૌથી મોટો સવાલ – શું રાજકીય પક્ષોના નામે કાળા નાણાં અથવા ચંદાની હેરાફેરીનો કોઈ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે?”
“જો બધું નિયમો અનુસાર છે, તો નિષ્પક્ષ તપાસથી મુશ્કેલી શા માટે? આખરે તપાસ એજન્સીઓની જવાબદારી માત્ર વિપક્ષ સુધી જ કેમ મર્યાદિત હોવી જોઈએ?”
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે પણ અનેક સવાલો કર્યા છે.
તેમણે X પર લખ્યું, “BBC હિન્દીની ભારતની રહસ્યમય ‘કાગળ પર અસ્તિત્વ ધરાવતી પાર્ટીઓ’ પર મોટી તપાસ – એવી રાજકીય પાર્ટીઓ જેમની પાસે ન કોઈ કચેરી છે, ન કાર્યકર્તા, ન ઉમેદવાર અને ન મતદારોનો આધાર, છતાં તેમને કરોડો-અબજો રૂપિયાનો ભારે ચંદો મળી રહ્યો છે.”
તેમણે લખ્યું, “શું આ પાર્ટીઓનો ઉપયોગ ટેક્સ બચાવવા અને નાણાંને ખોટી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કરવામાં આવી રહ્યો છે? ચંદો આપનારા કોણ છે? આખરે પૈસા ક્યાં ગયા? ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગે કાર્યવાહી કેમ ન કરી? આપણે પહેલેથી જ તે વિચિત્ર NCPI વિશે જાણીએ છીએ, જ્યાં હાલમાં 20 ગદ્દાર સાંસદ છે.”
હકીકતમાં, BBCની આ તપાસ જૂનમાં તે જ સમયે શરૂ થઈ હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ પાર્ટી છોડીને નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (NCPI)માં જોડાઈ ગયા હતા.
NCPI પણ એક નોંધાયેલી પરંતુ બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટી (RUPP) છે.
આ મુદ્દે TMCના 20 બળવાખોર સાંસદોના તેમાં વિલીનીકરણ અને NDAને સમર્થન આપ્યા બાદ મોટા સવાલો ઊભા થયા હતા.
પત્રકારો અને વિશ્લેષકોએ શું કહ્યું
BBC દ્વારા કરવામાં આવેલી આ તપાસ પર પત્રકારો અને રાજકીય વિશ્લેષકોએ પણ ટિપ્પણીઓ કરી છે.
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ પૂછ્યું કે શું ચૂંટણી પંચ અને ED આ મામલે તપાસ કરશે?
તેમણે X પર લખ્યું, “શું ચૂંટણી પંચ તપાસ કરશે કે આ નાની અને અજાણી પાર્ટીઓમાં મોટી રકમ કોણ નાખી રહ્યું છે? આ મામલે આ પાર્ટીઓ ગુજરાતની છે, પરંતુ આવી પાર્ટીઓ સમગ્ર ભારતમાં છે. શું ED તપાસ કરશે કે આ નાણાંને ખોટી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનો વધુ એક મોટો મામલો છે? કે પછી કેટલાક મુદ્દાઓને સ્પર્શવાના જ નથી?”
વરિષ્ઠ લેખક અને કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝાએ કહ્યું કે આ મામલાની ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની માંગ કરી છે.
સંજય ઝાએ X પર લખ્યું, “BBCનો આ રિપોર્ટ ચોંકાવનારો છે. આ રાજકીય પાર્ટીઓને પૈસા કોણે આપ્યા, શું આ કોઈના માટે સામે રહીને કામ કરતી પાર્ટીઓ હતી? અને જો એવું છે, તો કોના માટે?”
“આ મામલાની ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ અને નિર્ધારિત સમયમાં તપાસ પૂર્ણ થવી જોઈએ. તેના માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SIT બનાવવી જોઈએ.”
તેમણે કહ્યું, “હું હંમેશાથી માનતો આવ્યો છું કે ચૂંટણીમાં મળતા નાણાંના મામલે પારદર્શિતાને ઘણા લાંબા સમયથી અવગણવામાં આવી છે. ઇલેક્ટોરલ બોન્ડ તેનું યોગ્ય ઉદાહરણ છે કે વ્યવસ્થામાં કેટલી ગેરરીતિ છે.”
વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે પૂછ્યું કે શું આ પૈસા મત ખરીદવા માટે વહેંચવામાં આવ્યા છે.
તેમણે X પર લખ્યું, “ભારતની ચૂંટણી પ્રક્રિયા સડી ગઈ છે. તેમાં એટલા સ્તરે કૌભાંડના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે કે ખબર પડતી નથી કે જે પરિણામ આપણે જોઈએ છીએ તે પંચનું છે કે પ્રિન્ટરમાંથી નીકળેલું છે.”
“છ પાર્ટીઓ પાસે સેંકડો કરોડનો ચંદો ક્યાંથી આવ્યો? શું તેની તપાસમાં પણ વર્ષો લાગશે? આ નાણાં ખર્ચવાનો હિસાબ તો હશે. શું આ પૈસા મત ખરીદવા માટે વહેંચવામાં આવ્યા છે?”
રાહુલ ગાંધીની જૂની X પોસ્ટ વાયરલ
આ મામલે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની એક જૂની X પોસ્ટ પણ ફરી વાયરલ થઈ રહી છે.
રાહુલ ગાંધીએ એક અખબારમાં પ્રકાશિત સમાચાર શેર કરતાં 27 ઓગસ્ટ, 2025ના રોજ લખ્યું હતું કે ગુજરાતમાં કેટલીક એવી અજાણી પાર્ટીઓ છે, જેને 4,300 કરોડ રૂપિયાનો ચંદો મળ્યો છે.
રાહુલ ગાંધીએ X પર લખ્યું હતું, “ગુજરાતમાં કેટલીક એવી અજાણી પાર્ટીઓ છે જેનું નામ કોઈએ સાંભળ્યું નથી – પરંતુ 4,300 કરોડનો ચંદો મળ્યો! આ પાર્ટીઓએ ખૂબ જ ઓછા પ્રસંગોએ ચૂંટણી લડી છે અથવા તેમના પર ખર્ચ કર્યો છે.”
“આ હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? તેમને કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા? શું ચૂંટણી પંચ તપાસ કરશે – કે પછી અહીં પણ પહેલાં એફિડેવિટ માંગશે? અથવા પછી કાયદો જ બદલી નાખશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?”

