Home Ministry Infiltration Data RTI: અમિત શાહના ‘૬૪ લાખ ઘૂસણખોરો’ના દાવા પર RTIનો મોટો ઘટસ્ફોટ: ગૃહ મંત્રાલયે કહ્યું- ‘અમારી પાસે કોઈ ડેટા નથી’

Arati Parmar
10 Min Read

Home Ministry Infiltration Data RTI: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત ચૂંટણી મંચો પરથી દેશમાં ‘ઘૂસણખોરો’ની સંખ્યાને લઈને મોટા દાવા કરતા રહ્યા છે. તાજેતરમાં આસામમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે રાજ્યના સાત જિલ્લાઓ- ધુબરી, બારપેટા, દરાંગ, મોરીગાંવ, બોંગાઈગાંવ, નગાંવ અને ગોઆલપાડા – ‘૬૪ લાખ ઘૂસણખોરોના કબજામાં’ છે. શાહે આ માટે કોંગ્રેસના ૨૦ વર્ષના શાસનને જવાબદાર ઠેરવ્યું અને દાવો કર્યો કે માત્ર ભાજપ જ આ કથિત ઘૂસણખોરીને રોકી શકે છે.

જોકે, ગૃહ મંત્રાલય પાસેથી માહિતીના અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતી આ દાવા પર ગંભીર સવાલો ઉભા કરે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કન્હૈયા કુમાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આરટીઆઈ અરજી અને તેના જવાબ મુજબ, ગૃહ મંત્રાલય પાસેથી છેલ્લા દસ વર્ષ (અથવા ઉપલબ્ધ સૌથી જૂના વર્ષથી) દરમિયાન દેશભરમાં ઓળખાયેલા, પકડાયેલા અને દેશનિકાલ/પ્રત્યાર્પણ કરાયેલા ઘૂસણખોરોની વર્ષવાર માહિતી માંગવામાં આવી હતી. આ ઉપરાંત, ઘૂસણખોરોની દેશવાર (રાષ્ટ્રીયતાના આધારે) માહિતી પણ માંગવામાં આવી હતી.

- Advertisement -

૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આપેલા પોતાના જવાબમાં ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે તેની પાસે દેશમાં ઘૂસણખોરોની ઓળખ, ધરપકડ કે દેશનિકાલ સંબંધિત કોઈ ડેટા કેન્દ્રીય સ્તરે ઉપલબ્ધ નથી. મંત્રાલયે જવાબમાં લખ્યું: “ગેરકાયદે વિદેશી નાગરિકો/ગેરકાયદે પ્રવાસીઓની ભાળ મેળવવાની, તેમની અવરજવરને પ્રતિબંધિત કરવાની તથા તેમને દેશની બહાર મોકલવાની સત્તાઓ ‘ઇમિગ્રેશન અને વિદેશી નાગરિક અધિનિયમ, ૨૦૨૫’ ની કલમ ૭, ૧૩ અને ૨૯ ની પેટા કલમ (૨) હેઠળ તમામ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનોને સોંપી દેવામાં આવી છે.”

એટલે કે મંત્રાલયે પોતે સ્વીકાર્યું કે આ પ્રકારનો કોઈ ડેટા કેન્દ્ર પાસે નથી અને તે જણાવવામાં અસમર્થ રહ્યું કે ભારતમાં કેટલા ઘૂસણખોરો પકડાયા, કેટલાને દેશની બહાર મોકલવામાં આવ્યા, અને તેઓ કયા દેશના નાગરિક હતા.

- Advertisement -

આ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે અમિત શાહ માત્ર આસામ જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ વારંવાર ‘ઘૂસણખોરો’ની મોટી સંખ્યાનો ઉલ્લેખ કરતા રહ્યા છે. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દૈનિક જાગરણ દ્વારા આયોજિત ‘નરેન્દ્ર મોહન સ્મૃતિ વ્યાખ્યાન’માં ‘ઘૂસણખોરી, જનસંખ્યા પરિવર્તન અને લોકશાહી’ વિષય પર બોલતા શાહે કહ્યું હતું કે ‘ભારતમાં મુસ્લિમ વસ્તીનો વધારો પ્રજનન દરને કારણે નહીં પરંતુ મોટા પાયે ઘૂસણખોરીને કારણે થયો છે.’ આ પહેલા પણ તેઓ અનેક પ્રસંગોએ કહેતા રહ્યા છે કે ગેરકાયદે ઘૂસણખોરી દેશની સુરક્ષા અને જનસંખ્યા માટે ગંભીર ખતરો છે.

પરંતુ આરટીઆઈ જવાબ એ સવાલ ઉઠાવે છે કે જ્યારે ગૃહ મંત્રાલય પાસે ઘૂસણખોરો સાથે જોડાયેલા કોઈ સત્તાવાર આંકડા જ ઉપલબ્ધ નથી, તો પછી ચૂંટણી મંચો પરથી આપવામાં આવી રહેલા લાખો ઘૂસણખોરોના આંકડા કયા આધારે નક્કી કરવામાં આવી રહ્યા છે. આ વિરોધાભાસ ન માત્ર સરકારી દાવાઓની વિશ્વસનીયતા પર સવાલ ઉભો કરે છે, પરંતુ એ પણ દર્શાવે છે કે ‘ઘૂસણખોરી’ જેવો સંવેદનશીલ મુદ્દો કઈ રીતે રાજકીય ભાષણોમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. ભાજપનો પક્ષ જાણવા માટે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. જવાબ આવશે ત્યારે રિપોર્ટમાં ઉમેરવામાં આવશે.

- Advertisement -

‘આ બહુ વિચિત્ર વાત છે’

ગૃહ મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવતા કે તેની પાસે ‘ઘૂસણખોરો’નો કોઈ સંકલિત આંકડો ઉપલબ્ધ નથી, સામાજિક કાર્યકર અને લેખક હર્ષ મંદરે તેને ‘અત્યંત વિચિત્ર’ ગણાવ્યું. તેમણે કહ્યું, “ગૃહ મંત્રાલય આંકડા નથી રાખતું એમ કહેવું એ બહુ વિચિત્ર વાત છે. ઉદાહરણ તરીકે હત્યા જેવા ગુનાઓના આંકડા રાજ્યો એકઠા કરે છે, પરંતુ તેને સંકલિત કરીને નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો પ્રકાશિત કરે છે. જો રાજ્યો પાસે માહિતી છે, તો કેન્દ્ર તેને સંકલિત કરી શકે છે. તેથી મંત્રાલય દ્વારા આપવામાં આવેલો આ તર્ક નક્કર લાગતો નથી.”

મંદરે ‘ઘૂસણખોર’ શબ્દના ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યો. તેમના મતે, ભારતીય કાયદામાં ‘ઘૂસણખોર’ની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. “ભારતે રિફ્યુજી કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા નથી. તેથી અમારે ત્યાં કાનૂની રીતે બે જ શ્રેણીઓ છે – કોઈ વ્યક્તિ કાં તો ભારતીય નાગરિક છે, અથવા વિદેશી. વિદેશીઓમાં પણ કોઈ માન્ય દસ્તાવેજો સાથે હોઈ શકે છે, અથવા દસ્તાવેજો વગર. પરંતુ દસ્તાવેજો વગર વિદેશી હોવું અને ‘ઘૂસણખોર’ હોવું, બંને અલગ વાતો છે.”

તેમણે કહ્યું કે ‘ઘૂસણખોર’ શબ્દ માત્ર ગેરકાયદે હાજરીનો સંકેત નથી આપતો, પરંતુ તે કોઈ ખરાબ ઈરાદા કે કાવતરાપૂર્વક પ્રવેશનો આરોપ પણ જોડી દે છે. “કોઈ વ્યક્તિ ગરીબી, હિંસા, ઉત્પીડન અથવા ભટકીને પણ સરહદ પાર આવી શકે છે. પરંતુ જ્યારે તમે તેને ‘ઘૂસણખોર’ કહો છો, ત્યારે તમે એવું માની લો છો કે તે કોઈ ખાસ હેતુથી દેશમાં ઘૂસ્યો છે. આ અત્યંત સમસ્યાજનક છે.”

મંદરે નાગરિકતા કાયદામાં ૨૦૦૮ પછી થયેલા ફેરફારોનો હવાલો આપતા કહ્યું કે સામાન્ય ફોજદારી કાયદામાં રાજ્ય પર આરોપ સાબિત કરવાની જવાબદારી હોય છે, પરંતુ નાગરિકતાના કેસોમાં બોજ વ્યક્તિ પર નાખી દેવામાં આવ્યો છે. “હવે માની લેવામાં આવે છે કે વ્યક્તિ ગેરકાયદે છે, અને તેણે દસ્તાવેજોના આધારે સાબિત કરવું પડે છે કે તે નાગરિક છે. જ્યારે ભારત જેવા દેશમાં દસ્તાવેજીકરણની પ્રક્રિયા ઐતિહાસિક રીતે નબળી રહી છે – ગરીબી, અશિક્ષા વગેરે તેના કારણો છે.” તેમણે આરોપ લગાવ્યો કે જો દસ્તાવેજ વગરના દરેક વ્યક્તિને સમાન રીતે ‘ઘૂસણખોર’ કહેવામાં આવતા હોત, તો પણ તે એક ગંભીર બંધારણીય પડકાર હોત, પરંતુ તેમનું કહેવું છે કે વ્યવહારમાં આ શબ્દ ‘પસંદગીના સમુદાયો’ માટે વપરાય રહ્યો છે.

જ્યારે સરકાર આંકડા પણ ઉપલબ્ધ કરાવતી નથી અને ખાસ સમુદાયોને ‘ઘૂસણખોર’ કહે છે, ત્યારે તે સંકેત આપે છે કે આ વહીવટી નહીં, પરંતુ વૈચારિક અને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી સંચાલિત પ્રક્રિયા છે. ધ્યાન રહે કે હર્ષ મંદર લાંબા સમયથી નાગરિકતા, વિસ્થાપન અને લઘુમતી અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમને આસામના મુખ્યમંત્રી તરફથી કાયદેસરની કાર્યવાહીની ધમકી પણ મળી છે. મંદરે નાગરિકતાના વ્યાપક અર્થ અને તેના રાજકીય ઉપયોગ પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે દાર્શનિક અને હોલોકોસ્ટ સર્વાઈવર હન્ના અરેન્ડ્ટનો હવાલો આપતા કહ્યું, ‘હન્ના અરેન્ડ્ટે કહ્યું હતું કે સિટીઝનશિપ ઈઝ ધ રાઈટ ટુ હેવ રાઈટ્સ, એટલે કે ‘હક રાખવાનો હક’. જ્યારે તમે કોઈ વ્યક્તિની નાગરિકતાને શંકાસ્પદ બનાવી દો છો, ત્યારે તમે તેના બાકીના તમામ અધિકારોને પણ અસ્થિર કરી દો છો.’ તેમનું કહેવું હતું કે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી એક ખાસ સમુદાય અને વિશેષ મઝહબના લોકોના માથા પર નાગરિકતાને લઈને સતત એક પ્રકારની તલવાર લટકાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૨ વર્ષમાં એક સમુદાયને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે ક્યારેય પણ, કોઈપણ સમયે, તેમના ‘હક રાખવાના હક’ પર સવાલ ઉઠાવી શકાય છે. આ જ તેનો મૂળ ઉદ્દેશ્ય છે, એક આખા સમુદાયને કાયમી ભયની સ્થિતિમાં રાખવો.

તો પછી દેશની બહાર કોને કાઢવામાં આવી રહ્યા છે?

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અનેકવાર એવો દાવો કરી ચૂક્યા છે કે કથિત ઘૂસણખોરોને પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા છે. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે ૧૮ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પાછા મોકલવામાં આવ્યા છે અને એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે તેઓ ફરીથી રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. તેમણે દાવો કર્યો કે આખી પ્રક્રિયા ‘પ્રોટોકોલ હેઠળ’ કરવામાં આવી રહી છે. આના થોડા દિવસો પહેલા, ૩ સપ્ટેમ્બરે ૧૩ કથિત ઘૂસણખોરોને દેશની બહાર કરવાની વાત કહી હતી.

આ પ્રકારની કાર્યવાહીઓ પર પ્રતિક્રિયા આપતા હર્ષ મંદરે કહ્યું કે સરકાર નક્કર કાનૂની પ્રક્રિયા વગર લોકોને ‘ઘૂસણખોર’ જાહેર કરી સરહદ પાર ધકેલી રહી છે. મંદરના જણાવ્યા મુજબ, “તમે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવી દો છો કે તે આ દેશનો નાગરિક નથી, તેના કોઈ અધિકારો નથી, અને પછી માત્ર એક ટૂંકી પૂછપરછ પછી તેને બંદૂકની અણીએ સરહદની પેલે પાર ધકેલી દેવામાં આવે છે. આ સવાલ ઉઠે છે કે આપણે આખરે શું કરી રહ્યા છીએ?”

તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બાંગ્લાદેશી નાગરિક હોવાના નક્કર પુરાવા મોજૂદ હોય, તો આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ કાનૂની પ્રત્યાર્પણ (લીગલ રિપેટ્રિએશન) ની પ્રક્રિયા હોય છે, જેમાં સંબંધિત દેશને સત્તાવાર જાણ કરવામાં આવે છે, સરનામાં અને સ્વજનોની પુષ્ટિ કરવામાં આવે છે અને પછી કાનૂની રીતે પ્રત્યાર્પણ થાય છે. પરંતુ અહીં એવું નથી થઈ રહ્યું, કારણ કે સરકાર જાણે છે કે જે લોકોને ધકેલવામાં આવી રહ્યા છે, તેઓ બાંગ્લાદેશી છે જ નહીં. મંદરે તેની તુલના અમેરિકાથી ભારત મોકલવામાં આવી રહેલા ભારતીય નાગરિકો સાથે કરી અને કહ્યું કે ત્યાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ભલે વિવાદાસ્પદ હોય, પરંતુ તે એક માન્ય કાનૂની પ્રક્રિયા છે. તેનાથી ઉલટું, ભારતમાં થઈ રહેલી આ કાર્યવાહી, તેમના શબ્દોમાં, “આ એક પ્રકારની એક્સ્ટ્રા-જ્યુડિશિયલ પ્રક્રિયા છે – ન્યાયિક પ્રક્રિયાની બહાર લોકોને તેમના અધિકારોથી વંચિત કરી દેવા.” તેમણે ચેતવણી આપી કે જો આ કાર્યવાહી દસ્તાવેજ વગરના તમામ લોકો સાથે સમાન રીતે થઈ રહી હોત, તો પણ તે એક ગંભીર બંધારણીય સંકટ હોત, પરંતુ જો તેને કોઈ વિશેષ સમુદાય વિરુદ્ધ લક્ષિત રીતે લાગુ કરવામાં આવી રહી છે, તો તે ‘સાંપ્રદાયિક રાજકારણ’નું ઉગ્ર સ્વરૂપ છે, ‘જેને આપણે ફાસીવાદી કહી શકીએ છીએ.’

Share This Article