ICGS Samudra Pratap Indigenous Ship: ભારતે દેશમાં જ બનેલું એક એવું જહાજ સમુદ્રમાં ઉતાર્યું છે, જેનું કામ સમુદ્રને સાફ-સુથરો અને પ્રદૂષણ મુક્ત રાખવાનું છે. આ પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ આઈસીજીએસ સમુદ્ર પ્રતાપ (ICGS Samudra Pratap) છે, જેને ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજનું કમિશનિંગ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યું હતું. આ જહાજ સમુદ્રી પ્રદૂષણ નિયંત્રણ, શોધ અને બચાવ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેને ગોવા શિપયાર્ડ લિમિટેડે તૈયાર કર્યું છે. ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલા બે પ્રદૂષણ નિયંત્રણ જહાજોમાંનું આ પ્રથમ છે. જોયું જાય તો આ પગલું જહાજ નિર્માણ અને સમુદ્રી ક્ષમતામાં આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટી સિદ્ધિ છે.
સમુદ્ર પ્રતાપનો અર્થ છે- સમુદ્રોની શક્તિ. આ જહાજ સમુદ્રને સુરક્ષિત, સંરક્ષિત અને સ્વચ્છ રાખવાની સાથે દેશના સમુદ્રી હિતોની રક્ષા કરવાના ભારતીય કોસ્ટ ગાર્ડના સંકલ્પને દર્શાવે છે. તે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. આમાં ૬૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. જહાજની લંબાઈ ૧૧૪.૫ મીટર અને પહોળાઈ ૧૬.૫ મીટર છે. તે ૪૦ કિલોમીટરથી વધુની ઝડપે ચાલી શકે છે. તેમાં આધુનિક ઓટોમેશન અને કોમ્પ્યુટર નિયંત્રિત સિસ્ટમ લગાવવામાં આવી છે. આશરે ૪,૨૦૦ ટન વજન ધરાવતું આ જહાજ બે ૭,૫૦૦ કિલોવોટના ડીઝલ એન્જિનથી ચાલે છે. તેમાં સ્વદેશી ટેકનોલોજીથી બનેલા કંટ્રોલ પિચ પ્રોપેલર અને ગિયર બોક્સ લાગેલા છે, જેનાથી જહાજને બહેતર નિયંત્રણ અને લાંબા અંતર કાપવાની ક્ષમતા મળે છે. આ જહાજ ૬,૦૦૦ નોટિકલ માઈલ સુધી અટક્યા વગર ચાલી શકે છે. તેનું મુખ્ય કામ સમુદ્રમાં તેલના ગળતર (ઓઈલ સ્પિલ) અને પ્રદૂષણનો સામનો કરવાનું છે. આ માટે તેમાં આધુનિક સાધનો જેવા કે સાઇડ સ્વીપિંગ આર્મ્સ, ફ્લોટિંગ બૂમ્સ, હાઈ કેપેસિટી સ્કીમર, પોર્ટેબલ બાર્જ અને પ્રદૂષણ તપાસ પ્રયોગશાળા હાજર છે.
જહાજમાં આગ ઓલવવા માટે ફાયર ફાઈટીંગ સિસ્ટમ (Fi-Fi ક્લાસ ૧) પણ લાગેલી છે. આ સિવાય તેમાં ડાયનેમિક પોઝિશનિંગ સિસ્ટમ, ઈન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ, પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સિસ્ટમ્સ સામેલ છે. સુરક્ષા માટે તેમાં ૩૦ મીમીની તોપ અને ૧૨.૭ મીમીની બે રિમોટ કંટ્રોલ ગન લગાવવામાં આવી છે. આઈસીજીએસ સમુદ્ર પ્રતાપ કોચ્ચિમાં તૈનાત રહેશે અને કેરળ તથા માહે વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ, સમુદ્રી દેખરેખ અને અન્ય જવાબદારીઓ નિભાવશે. હાલમાં જહાજની કમાન ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર ભામા પાસે છે. તેમાં ૧૪ અધિકારીઓ અને ૧૧૫ જવાનો તૈનાત છે. ખાસ વાત એ છે કે તેમાં પ્રથમ વખત બે મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પુરૂષ અધિકારીઓની સાથે ખભે ખભા મિલાવીને પોતાની જવાબદારી નિભાવશે.
આ જહાજના સામેલ થવાથી ભારતીય કોસ્ટ ગાર્ડની પ્રદૂષણ નિયંત્રણ, અગ્નિશમન, સમુદ્રી સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણની ક્ષમતામાં ઘણો વધારો થશે. સાથે જ તે ભારતના સમુદ્રી વિસ્તારોમાં લાંબા ગાળાની દેખરેખ અને રાહત કાર્યોને પણ મજબૂત બનાવશે. ભારતમાં બનેલું આ સૌથી મોટું અને આધુનિક પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપ, સ્વચ્છ, સુરક્ષિત અને આત્મનિર્ભર સમુદ્રી ભવિષ્યની દિશામાં દેશની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

