India New Zealand FTA: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સોમવારે ભારત મંડપમમાં હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના ટ્રેડ અને રોકાણ મંત્રી ટોડ મેકલે હાજર રહેશે. માર્ચ 2025 માં શરૂ થયેલી વાતચીત બાદ આ સમજૂતીને ડિસેમ્બર 2025 માં અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
આર્થિક સહયોગની દિશામાં મોટું કદમ
આ સમજૂતી બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોને મજબૂત કરવા અને આર્થિક સહયોગ વધારવાની દિશામાં મોટું કદમ માનવામાં આવી રહ્યું છે. પીયૂષ ગોયલે કહ્યું કે આવનારા મહિનાઓમાં આ એગ્રીમેન્ટ લાગુ થશે અને વેપાર વધારવાનું પ્રમુખ માધ્યમ બનશે. સમજૂતી હેઠળ ભારતથી ન્યુઝીલેન્ડ જતી લગભગ 70% વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) ખતમ થવાની આશા છે, જેનાથી ઘરેલું ઉદ્યોગોને મોટો ફાયદો મળશે.
નિયમોને સરળ બનાવવા પર પણ સહમતી
ખાસ કરીને આગ્રાનું લેધર અને ફૂટવેર સેક્ટર, ઉત્તર પ્રદેશનું હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ જેવી યોજનાઓને નવા બજાર મળશે. આ MSME અને શ્રમ-પ્રધાન ઉદ્યોગો માટે મહત્વની તક લઈને આવશે. ફાર્મા અને મેડિકલ ડિવાઇસ સેક્ટરને ઝડપથી મંજૂરી આપવા, નોન-ટેરિફ અવરોધો ઘટાડવા અને નિયમોને સરળ બનાવવા પર પણ સહમતી બની છે.
5 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય
કૃષિ ક્ષેત્રમાં કીવી, સફરજન અને મધને લઈને એગ્રીટેક સહયોગ વધશે. સમજૂતી આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 2.4 અબજ ડોલરથી વધારીને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. સેવાઓના ક્ષેત્રમાં પણ આ સમજૂતી મહત્વપૂર્ણ છે. આ હેઠળ ભારતીય વ્યાવસાયિકો માટે દર વર્ષે 5,000 સુધી કામચલાઉ રોજગાર વિઝાની જોગવાઈ હશે, જેનો સમયગાળો ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે. આમાં આઈટી એન્જિનિયરિંગ, હેલ્થકેયર, શિક્ષણ, બાંધકામની સાથે સાથે આયુષ નિષ્ણાતો, યોગ પ્રશિક્ષકો, શેફ અને મ્યુઝિક ટીચર પણ સામેલ હશે.

