India-Pak Conflict: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં. ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ શરૂ છે. આ મામલે સરહદી વિસ્તારની સ્થિતિ વિશે સમયાંતરે સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે, જેના કારણે ફેક ન્યૂઝ અટકાવી શકાય અને દેશભરમાં ડરનો માહોલ ન સર્જાય અને સેનાની મુશ્કેલી હળવી રહે. આ વિશે વધુ માહિતી આપવા માટે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પ્રેસ બ્રીફિંગનું આયોજન કર્યું છે.
આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા છે. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાની તરફથી પશ્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ શરૂ રાખવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, લડાકુ વિમાન અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાનો બનાવવામાં આવ્યો છે.
આ સિવાય LoC અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભંટિડા સ્ટેશનના ઉપકરણને નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાને સવારે 1:40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાનની નિંદનીય હરકત
પાકિસ્તાને નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર ચિકિત્સા કેન્દ્ર અને સ્કૂલ પરિસરને નિશાનો બનાવવામાં આવ્યો. પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ સામે આવી છે.
ભારતીય સેનાનો જવાબી હુમલો
પાકિસ્તાન દ્વારા સૈન્ય ઠેકાણાને જાણીજોઈને નિશાનો બનાવ્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ તાત્કાલિક જવાબી હુમલામાં ટેક્નિકલ ઇન્સ્ટોલેશન, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર અને હથિયાર ભંડારને નિશાનો બનાવ્યો હતો. રફિકી, મુરિદ, ચકલાલા, રહેમિયા ખાન, સુકૂન સ્થિત પાકિસ્તાન સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ, સટીક હથિયારો અને લડાકૂ જેટથી પ્રહાર કરવામાં આવ્યા. પસૂર સ્થિત રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશન સાઇટ એરબેઝને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા.
પાકિસ્તાની સેનાએ હવાઈ માર્ગોનો કર્યો દુરૂપયોગ
આ કાર્યવાહી દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા નુકસાનને સુનિશ્ચિત કરવામાં આવી હતી. ચિંતાનો વિષય એ રહ્યો કે, પાકિસ્તાને લાહોરથી ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરૂપયોગ કર્યો. જેથી તેઓ પોતાની ગતિવિધિને સંતાડી શકે. પાકિસ્તાની ખોટી માહિતી દ્વારા આદમપુર સ્થિત S-400 પ્રણાલી, સુરતગઢ, નગરોટાના બ્રહ્મોસબેઝ, દહેરાગીરીના તોપખાના પોઝિશન અને ચંદીગઢના અગ્રીમ વિસ્ફોટકોને નષ્ટ કરવાના ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા. ભારત આ તમામ ખોટા દાવાઓનું ખંડન કરે છે.
‘અમે તણાવ વધારવા નથી ઈચ્છતા’
પાકિસ્તાને Loc પર ડ્રોન હુમલા અને ભારે ગોળીબારાનો અને તોપગોળાના હુમલાના અનેક પ્રયાસ કર્યા. કુપવાડા, બારામૂલા, પૂંછ, રાજૌરી અને અખનુર સેક્ટરમાં તોપ અને હળવા હથિયારો સાથે ભીષણ ગોળીબાર શરૂ રહ્યો. ભારતીય સેનાએ પ્રભાવી અને તુલનાત્મક પ્રત્યુત્તર આપતા પાક. સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન સેનાના અગ્રીમ ક્ષેત્રોમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ દર્શાવે છે. અત્યાર સુધી તમામ દુશ્મની કાર્યવાહીનો ભારતીય સેના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સશસ્ત્ર દળ જણાવે છે કે, અમે તણાવમાં વધારો નથી ઈચ્છતા પણ શરત છે કે પાકિસ્તાન પણ આવો જ વ્યવહાર કરે.