Jagdeep Dhankhar Resign: જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામાં બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. તેમણે સ્વાસ્થ્યના કારણો જણાવી રાજીનામું આપ્યું છે, પરંતુ આ નિર્ણયના સમયને લઈને વિપક્ષે સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની વિપક્ષની નોટિસ સ્વીકાર્યાના થોડા સમય બાદ જ બે કેન્દ્રીય મંત્રીઓએ ધનખડ સાથે વાત કરી હતી.
વડાપ્રધાન મોદી ખુશ નથી…
અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ સંકેત પણ આપ્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિર્ણયથી ખુશ નથી. તેના પર ધનખડે જવાબ આપ્યો હતો કે, નિયમ હેઠળ જ કર્યું છે.
કેન્દ્રીય મંત્રીએ ધનખડ સાથે કરી વાત
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે (21 જુલાઈ) ધનખડ સાથે વાત કરી હતી. આ વાતચીત હાઇકોર્ટ ન્યાયાધીશ સામે મહાભિયોગ નોટિસ પર રાજ્યસભામાં ધનખડના નિવેદન બાદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મહાભિયોગની નોટિસ પર 63 સાંસદોએ સહી કરી હતી.
મેં નિયમો અંતર્ગત જ કામ કર્યુંઃ ધનખડ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રિજિજુએ ધનખડને જણાવ્યું હતું કે, લોકસભામાં મહાભિયોગ પર સંમતિ બનાવવાની એક પ્રક્રિયા હોય છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નોટિસ પર સહી કરી છે. આ સાથે રિજિજુએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન અચાનક બનેલી આ ઘટનાથી ખુશ નહોતા. જોકે, ધનખડે કહ્યું કે, મેં નિયમોમાં રહીને જ કામ કર્યું છે.
સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં યોજાયેલી BAC એટલે કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની પહેલી બેઠક પછી આ ઘટના બની હોઈ શકે છે. જ્યાં નેતાઓએ 4:30 વાગ્યે યોજાયેલી બીજી બીએસી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયથી સરકાર ચોંકી ગઈ હતી. એવું કહેવાય છે કે સરકાર આ પ્રક્રિયા લોકસભા દ્વારા કરવા માંગતી હતી.

