JMB Terrorists Arrest Assam: બાંગ્લાદેશના કટ્ટરપંથી જૂથો સાથે સંબંધ હોવાના આરોપમાં આસામ અને ત્રિપુરામાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો પૂર્વોત્તરમાં અસ્થિરતા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરી છે.
ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થસારથી મહંતે પત્રકારોને જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે આસામના બારપેટા, ચિરાંગ અને દરાંગ જિલ્લાઓની સાથે ત્રિપુરામાં એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ૧૧ જેહાદી તત્વોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ બાંગ્લાદેશી જૂથોના આદેશ પર કામ કરી રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા લોકો ઇમામ મહમૂદ કાફિલા (IMK) ના સભ્યો છે. IMK એ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) નું એક સંગઠન છે, જે ભારતમાં પ્રતિબંધિત છે.
મહંતે માહિતી આપી હતી કે ધરપકડ કરાયેલા લોકોમાંથી ૧૦ આસામમાંથી અને એક ત્રિપુરામાંથી ઝડપાયો છે. તેમનો ઉદ્દેશ્ય આસામ અને પૂર્વોત્તરના બાકીના ભાગોમાં અસ્થિરતા ફેલાવવાનો હતો. તેઓ અહીં મુસ્લિમ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા હતા.
આસામમાંથી ધરપકડ કરાયેલા લોકોની ઓળખ નસીમ ઉદ્દીન ઉર્ફે નજીમુદ્દીન ઉર્ફે તમીમ (૨૪), જુનાબ અલી (૩૮), અફરાહિમ હુસૈન (૨૪), મિઝાનુર રહેમાન (૪૬), સુલતાન મહમૂદ (૪૦), મોહમ્મદ સિદ્દીક અલી (૪૬), રાશિદુલ આલમ (૨૮), મહિબુલ ખાન (૨૫), શાહરૂખ હુસૈન (૨૨) અને મોહમ્મદ દિલબર રઝાક (૨૬) તરીકે થઈ છે. જ્યારે જાગીર મિયાં (૩૩) ને ત્રિપુરાથી પકડવામાં આવ્યો છે.

