Maha Kumbh 82 deaths report : આ વર્ષની શરુઆતમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભનું આયોજન થયું હતું. આ ધાર્મિક મેળામાં મૌની અમાસે થયેલી ધક્કા-મુક્કીમાં યોગી સરકારના 37 લોકોના મોતના દાવાથી વિપરિત ઓછામાં ઓછા 82 લોકો માર્યા ગયા હોવાનો બીબીસીએ દાવો કર્યો છે. મહાકુંભમાં મૃતકો અંગે બીબીસીએ મંગળવારે (10 જૂન) એક રિપોર્ટ જાહેર કર્યા બાદ ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહાકુંભમાં મૃતકોની સંખ્યા અંગે સીએમ યોગી આદિત્યનાથ ગૃહમાં ખોટું બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે રાજ્ય સરકાર સમક્ષ બીબીસીના રિપોર્ટનો જવાબ માગ્યો હતો.
કરોડો લોકોએ મહાકુંભમાં કર્યું સ્નાન
પ્રયાગરાજમાં વિશેષ નક્ષત્ર અને ગ્રહદશામાં 144 વર્ષે મહાકુંભનું આયોજન થઈ રહ્યું હોવાના દાવાઓના પગલે 45 દિવસના ધાર્મિક મેળામાં 66 કરોડ હિન્દુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. મહાકુંભમાં મૌની અમાસના દિવસે પવિત્ર સ્નાનનું વિશેષ મહત્ત્વ હોવાથી 29 જાન્યુઆરીના દિવસે અંદાજે એક કરોડથી વધુ લોકો સ્નાન કરવા આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
જોકે, મૌની અમાસે 29 જાન્યુઆરીએ સંગમ નોઝ પર ધક્કા-મુક્કી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં 37 લોકોના મોત થયા હોવાનું અને 66 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કબૂલ્યું હતું.
અખિલેશ યાદવના પ્રહાર
યોગી સરકારે મૃતકોના 39 પરિવારોને 25-25 લાખનું વળતર આપ્યું હતું. એક મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતકો અંગે રાજ્ય સરકારનો દાવો શરુઆતથી જ વિવાદાસ્પદ રહ્યો છે. બીબીસીના અહેવાલને ટાંકીને ઉત્તર પ્રદેશમાં વિપક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વિધાનસભા ગૃહમાં ખોટું બોલવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે, મૃતકોના જે પરિવારોને રોકડમાં રકમ આપવામાં આવી છે તે ક્યાંથી આવી અને કયા નિયમ હેઠળ રોકડમાં વળતર અપાયું. તેમણે એક્સ પર લખ્યું, ‘તથ્ય VS સત્ય, 37 VS 82… બધા જુઓ, સાંભળો, સમજો અને શેર કરો.’
100થી વધુ પરિવારને મળીને બનાવ્યો રિપોર્ટ
મહાકુંભમાં ધક્કામુક્કીમાં થયેલા મોતની દુર્ઘટના અંગે બીબીસીએ મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. બીબીસીએ દાવો કર્યો કે, આ અહેવાલ તૈયાર કરવા તેમના રિપોર્ટર 11 રાજ્યોના 50થી વધુ જિલ્લામાં પહોંચ્યા અને 100થી વધુ પરિવારોને મળ્યા. આ પરિવારોનું કહેવું છે કે તેમના સ્વજનોનું મોત મહાકુંભમાં ધક્કામુક્કીમાં થયું હતું. તેમની પાસે તેના પુરાવા પણ છે. જોકે, અનેક લોકો એવા પણ હતા, જેમની પાસે નક્કર પુરાવા નહોતા. જે પરિવારો નક્કર પુરાવા આપી નથી શક્યા, તેમનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો નથી.
82થી વધુ હોય શકે છે મૃતકોનો આંકડો
આથી એવી પણ આશંકા સેવાઈ રહી છે કે મહાકુંભમાં મૃતકોનો વાસ્તવિક આંક 82થી પણ વધુ હોઈ શકે છે. બીબીસીના રિપોર્ટમાં બધા જ 82 મૃતકોના નામ, સરનામા સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં બીબીસીએ કહ્યું કે, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 82 લોકોના મોત થયા છે. વધુમાં મૌની અમાસે એક નહીં પરંતુ ચાર સ્થળ પર ધક્કા-મુક્કી થઈ હોવાના પુરાવા મળ્યા છે. મૌની અમાસની પૂર્વ રાતે 1:10 કલાકે સંગમ તટ પર થયેલી ધક્કા-મુક્કીમાં 30 લોકોના મોત થયા અને અન્ય 7 લોકોના પાછળથી મોત થયા હોવાનું સરકારનું કહેવું છે. જોકે, આ સિવાય ઐરાવત માર્ગ અને ઝૂંસી તરફ સમુદ્રકૂપ ચાર રસ્તા પાસે ધક્કા-મુક્કીમાં પણ કેટલાક લોકો માર્યા ગયા હતા. એ જ રીતે કલ્પવૃક્ષ દ્વાર પાસે મુક્તિ માર્ગ ચાર રસ્તા પાસે સવારે 8:00 વાગ્યે પણ ધક્કા-મુક્કી થઈ હતી અને ત્યાં પણ કેટલાક લોકો માર્યા ગયા હતા.
યોગી સરકારે 36 પરિવારોને 25 લાખનું વળતર આપ્યું હતું. એ સિવાય 26 પરિવારો એવા હતા, જેમને રૂ. ૫-૫ લાખ રોકડ અપાયા હતા અને તેમની પાસેથી લખાવી લેવાયું હતું કે તેમના પરિવારજનનું મૃત્યુ અચાનક સ્વાસ્થ્ય બગડી જવાથી થયું છે. આ પરિવારોમાં ઉત્તર પ્રદેશના 18, બિહારના પાંચ, પશ્ચિમ બંગાળના બે અને ઝારખંડના એક પરિવારનો સમાવેશ થાય છે.