Manual Scavenging Compensation: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મેન્યુઅલ સીવર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ (માથે મેલું ઉપાડવું) ના કારણે થતા મૃત્યુના દરેક કિસ્સામાં તેનો ઓક્ટોબર ૨૦૨૩નો ચુકાદો લાગુ થશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી. બી. વરાલેની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જે કિસ્સાઓમાં વળતર અગાઉથી નક્કી કરી દેવામાં આવ્યું છે અને ચૂકવી દેવાયું છે, તેમને ફરીથી ખોલવામાં આવશે નહીં.
અલગ અલગ કોર્ટ અલગ અલગ રીત
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર ૨૦૨૩માં આવા મૃત્યુના કિસ્સામાં વળતરની રકમ ૧૦ લાખથી વધારીને ૩૦ લાખ રૂપિયા કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦ જાન્યુઆરીએ આપવામાં આવેલા પોતાના આદેશમાં આ સ્પષ્ટીકરણ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) ની એક અરજી પર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિવિધ હાઈકોર્ટે વળતરની રકમને લઈને અલગ-અલગ અભિગમ અપનાવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે એક કેસમાં ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો, જ્યારે દિલ્હી હાઈકોર્ટે વળતર વધારીને ૩૦ લાખ રૂપિયા કરી દીધું હતું.
ચુકાદો બનશે ઉદાહરણ
આ આદેશ એક મહિલાની અરજી પર આવ્યો છે. તે ૨૦૨૨માં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા સીવર સફાઈ કામદારની વિધવા અને આશ્રિત છે. તેમનું કહેવું છે કે ઓગસ્ટ ૨૦૨૩માં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના આદેશ હોવા છતાં તેમને અત્યાર સુધી વળતર આપવામાં આવ્યું નથી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ મામલે વળતર વધારીને આપવા કહ્યું અને વ્યવસ્થા આપી કે ચુકાદા પહેલાના કિસ્સામાં પણ આ નિર્ણય લાગુ થશે, આ સંજોગોમાં આ ચુકાદો એક ઉદાહરણ (નજીર) બનશે.

