MP BEd College Scam: મધ્ય પ્રદેશમાં ‘કાગળ પરની હોસ્પિટલો’ અને ‘ફરજી નિમણૂકો’ બાદ હવે શિક્ષણ જગત સાથે જોડાયેલું એક વધુ મોટું કૌભાંડ ઉજાગર થયું છે. એક તપાસમાં ભોપાલની આસપાસ સંચાલિત થઈ રહેલી B.Ed કોલેજોની જમીની હકીકત અને યુનિવર્સિટીના રેકોર્ડમાં મોટું અંતર જોવા મળ્યું છે. ભવિષ્યના શિક્ષકોને તૈયાર કરનાર આ સંસ્થાઓ કાગળ પર તો ચકાચક છે, પરંતુ સ્થળ પર કાં તો ગાયબ છે અથવા વર્ષોથી બંધ પડેલી છે.
સૌથી ચોંકાવનારો મામલો વિદિશા રોડ પર સ્થિત મુગાલિયા કોટ ગામનો છે. બરકતુલ્લાહ યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ, અહીં ખસરા નંબર ૧૪૮/૧૪૯/૨/૧ પર ‘શ્રી રામ કોલેજ ઓફ એજ્યુકેશન’ સંચાલિત હોવી જોઈએ. પરંતુ જ્યારે ટીમ ત્યાં પહોંચી, ત્યારે ક્લાસરૂમ કે સ્ટાફની જગ્યાએ એક ખાલી ખેતર મળ્યું, જ્યાં ગાય અને ભેંસો ચરતી હતી. ત્યાં ન તો કોઈ બિલ્ડિંગ હતી કે ન તો કોઈ સાઈનબોર્ડ. આ જ જમીનના રેકોર્ડ પર બે અન્ય સંસ્થાઓ, મિલેનિયમ કોલેજ અને બગલામુખી કોલેજ પણ નોંધાયેલી જોવા મળી હતી.
આ આખા મામલે યુનિવર્સિટીના વલણ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બરકતુલ્લાહ યુનિવર્સિટી પાસે કુલ ૧૨૯ B.Ed કોલેજો છે, જેમાંથી ૧૨૭ પ્રાઈવેટ છે. કાર્યકારી પરિષદના નિર્દેશ પર થયેલી તપાસમાં બે કોલેજો તો તેમના સરનામે મળી જ ન હતી, જ્યારે અન્ય ઘણી કોલેજોમાં પાયાની સુવિધાઓ ગાયબ હતી. તેમ છતાં, ૨૪ જૂને મળેલી બેઠકમાં યુનિવર્સિટીએ ફિઝિકલ વેરિફિકેશન કરવાને બદલે માત્ર એક નોટરાઈઝ્ડ એફિડેવિટના આધારે ૧૨૫ પ્રાઈવેટ B.Ed કોલેજોને શરતી જોડાણ (સંબંધતા) આપી દીધી.
આ મામલે મધ્ય પ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારે સ્વીકાર્યું કે તપાસ સમિતિને ઘણી વિસંગતતાઓ મળી છે. તેમણે કહ્યું, ‘ફરિયાદો બાદ એફિડેવિટ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો આગામી તપાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી કે બિલ્ડિંગમાં કોઈ પણ ખામી જોવા મળશે, તો આ સંસ્થાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે.’ બીજી તરફ, કોંગ્રેસે તેને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ઊંડે સુધી પેઠેલા ભ્રષ્ટાચારનો હિસ્સો ગણાવતા આ આખા મામલાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે.
કોલેજ ઈન્સ્પેક્શનની જમીની હકીકત:
શ્રી રામ કોલેજ (મુગાલિયા કોટ): સરનામે કોઈ બિલ્ડિંગ નથી, જમીન પર પશુઓ ચરતા મળ્યા.
બગલામુખી કોલેજ: કોવિડ મહામારી પછી એટલે કે છેલ્લા ૫-૬ વર્ષોથી તાળાબંધ.
સેવિયર કોલેજ (બાવડિયા કલાં): એક જ કેમ્પસમાં સ્કૂલ, કોલેજ અને એક લોકલ સોસાયટીની ઓફિસ એક સાથે સંચાલિત.

