મુંબઈ, તા. 1ર : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વના બનાવમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા હુમલાખોરોએ બાંદ્રા ઈસ્ટ ખાતે અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ સિદ્દીકીને છાતી અને પેટમાં ગોળીઓ વાગતાં તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલે લઈ જવાયા હતા જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બાબા સિદ્દીકી પોતાના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. પોલીસે 3 શખસને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરુ કરી છે. સિદ્દીકી પહેલા દાયકાઓ સુધી કોંગ્રેસમાં હતા, બાદમાં એનસીપી-અજીત પવાર જૂથમાં જોડાયા હતા. તેઓ 3 વખતના ધારાસભ્ય અને રાજય મંત્રી રહી ચૂકયા છે. સલમાન ખાન સહિત અનેક બોલીવુડ સેલેબ્રિટીઓ સાથે તેમને ઘરોબો હતો અને તેમની ઈફતાર પાર્ટીમાં જાણીતી હસ્તીઓનો જમાવડો જોવા મળતો હતો.

