Northeast Flood-Landslieds: પૂર્વોત્તરમાં પૂરના રાપણે લાખોની સંખ્યામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 36 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચુક્યા છે. વળી, આ વિસ્તારના અનેક રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્વોત્તર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામમાં સૌથી વધુ 11 લોકોના મોત નિપજ્યા છે, ત્યારબાદ અરૂણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં છ, મિઝોરમમાં પાંચ, સિક્કિમમાં ત્રણ અને ત્રિપુરામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આસામમાં 22 જિલ્લામાં પૂરથી 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જોકે એક વ્યક્તિનું મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 15 નદીઓ ઉભરઈ ગઈ છે. એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, સિક્કિમના છતેનમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનના કારણે ત્રણ સૈનિકોના મોત નિપજ્યા છે અને છ સૈનિકો ગુમ થયા છે.
મુખ્યમંત્રીએ પ્રભાવિત વિસ્તારની લીધી મુલાકાત
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક લખીમપુર જિલ્લાની મુલાકાત લીધી અને પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામમાં મોટાભાગે સામાન્ય વરસાદની સંભાવના છે, જોકે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. વળી, અમુક જગ્યાએ અત્યાધુનિક વરસાદનું અનુમાન છે.
મણિપુરમાં કેવી છે સ્થિતિ?
મણિપુરમાં છેલ્લાં ઘણાં દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પૂરથી 3365 ઘરોને નુકસાન થયું છે અને 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લોકોને પ્રભાવિત વિસ્તારમાંથી નીકાળીને રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના ઇમ્ફાલ ઈસ્ટ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લાના હેઇગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. આ સિવાય સેનાપતિ જિલ્લો પણ પૂરથી પ્રભાવિત છે.