નવી દિલ્હી, તા.24: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે શનિવારે સાત રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થશે. જમ્મુ – કાશ્મીરની અનંતનાગ – રાજૌરી બેઠક પર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી. હવે અહીં પણ આવતીકાલે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે.
દિલ્હીની તમામ સાત બેઠક પર યોજાનારા મતદાન પર નજર રહશે.મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય એ માટે વહીવટીતંત્રો દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આ તબક્કામાં દિલ્હી (સાત) ઉપરાંત બિહારની આઠ, હરિયાણાની તમામ દસ, ઝારખંડની ચાર, ઓરિસ્સાની છ, ઉત્તરપ્રદેશની 14, પ.બંગાળની આઠ અને જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકોમાંથી 2019 માં, ભાજપે સૌથી વધુ 40 બેઠકો જીતી હતી. આ તબક્કામાં 3 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલ સિંહ ગુર્જર અને રાવ ઈન્દ્રજીત સિંહ મેદાનમાં છે. ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઁ મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે.

આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી પંચ અનુસાર છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 797 પુરુષ અને 92 મહિલા ઉમેદવારો છે. 543 લોકસભા બેઠકોના પાંચમા તબક્કા સુધી 429 બેઠકો પર મતદાન થયું છે. આવતીકાલે મતદાન થયા બાદ કુલ 487 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. છેલ્લા અને સાતમા તબક્કામાં 56 બેઠકો પર મતદાન થશે.

