પુરી, તા. 25 : સમુદ્રી ચક્રવાત `દાના’ ગુરુવારે મધરાત્રે 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઓરિસ્સામાં ટકરાયું હતુ. રાજ્યમાં વાવાઝોડાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. વાવાઝોડાંના ઉગ્ર પ્રકોપથી ઓરિસ્સા-બંગાળ બચી ગયા હતા.
જો કે બન્ને રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. ઝડપી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસ્યો છે. પશ્ચિમ બંગાળમાં એકનું મોત થયું હતું. સાવચેતીરૂપ પગલાંઓને કારણે જાનહાનિ ટળી છે પરંતુ નુકસાન થયું છે. ઓરિસ્સા અને પ.બંગાળમાં વિમાન તથા ટ્રેન સેવા પૂર્વવત્ કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું ગુરુવારે રાત્રે 1ર:0પ કલાકે ઓરિસ્સાના કિનારે 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટકરાયું અને બંગાળ તરફ આગળ વધ્યું હતું. ત્રાટકવાની પ્રક્રિયા સવારે 8:30 કલાકે પૂર્ણ થઈ હતી જે સાથે વાવાઝોડું નબળું પડયું હતું.
વાવાઝોડાંને કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ વરસ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે પ.84 લાખ લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને વાહનોને નુકસાન થયું છે. શુક્રવારે બપોર સુધીમાં વાવાઝોડું અત્યંત નબળું પડી ડીપ ડિપ્રેશનમાં બદલાયું હતું.
સાડા આઠ કલાકમાં તોફાનની ઝડપ 110 કિ.મી.માંથી 10 કિ.મી. થઈ ગઈ હતી. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે. પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ અને ધરાશાયી વૃક્ષોનો કાટમાળ હટાવવા કામગીરી શરૂ કરાઈ છે. પ. બંગાળમાં પણ વાવાઝોડાંએ વિનાશ વેર્યો ન હતો. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે અને રાજ્ય સરકાર હજુ પણ એલર્ટ છે એમ કહેતાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે, 2.16 લાખ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડાયા હતા.

