શ્રીનગર, તા. 25 : કાશ્મીરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં સેનાનાં વાહન પર નિશાન સાધતાં કરાયેલા આતંકવાદી હુમલામાં વધુ સૈનિકે જીવ ખોતાં ચાર જવાન શહીદ થઇ ચૂક્યા છે. નાગિન ક્ષેત્રમાં આતંકી ગોળીબારમાં ઘાયલ થઇ ગયેલા જવાનને શ્રીનગરની લૂબેઝ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ શુક્રવારની સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હિચકારા હુમલામાં વાસ્તવિક અંકુશ રેખાએથી ઘૂસણખોરી કરનાર ત્રણથી વધુ આતંકવાદી સામેલ હતા, તેવું જાણવા મળ્યું હતું. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ દ્વારા તેનાં `એક્સ’ હેન્ડલ પરથી શહીદ જવાનોને અંજલિ સાથે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ હતી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જવાનોની શહાદતને બેહદ કમનસીબ ગણાવી, આતંકવાદી કૃત્યની ટીકા કરી હતી. ફારૂક અબ્દુલ્લાહે પણ આતંકી હુમલાની ટીકા સાથે કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાનાં ઘરની સમસ્યાઓ ઉકેલે, આતંકવાદીને ઉત્તેજન આપશે તો તેની જ સમસ્યાઓ વધશે. ભાજપ નેતા રવિંદર રૈનાએ કહ્યું હતું કે, કાયર આતંકવાદીઓએ ગાઢ જંગલોનો ગેરફાયદો લઇને હુમલો કર્યો. પાકિસ્તાનને ખરાબ પરિણામ ભોગવવા પડશે.

