PMO Seva Tirth Shifting: આ શુક્રવારે સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલય (PMO) માં મળનારી કેબિનેટ બેઠક અત્યંત ખાસ અને ભાવનાત્મક બની રહેશે. સાંજે ૪ વાગ્યે યોજાનારી આ બેઠક આ ઐતિહાસિક ઈમારતમાં છેલ્લી કેબિનેટ મીટિંગ હશે, કારણ કે ત્યારબાદ PMO તેના નવા સ્થાયી સરનામાં ‘સેવા તીર્થ’ માં શિફ્ટ થઈ જશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક સાંકેતિક બેઠક છે, જે છેલ્લા આશરે ૮૦ વર્ષોથી સત્તાના કેન્દ્ર રહેલા સાઉથ બ્લોકને સન્માનજનક વિદાય આપવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સાઉથ બ્લોકમાં પ્રથમ કેબિનેટ બેઠક ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને હવે ૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અંતિમ બેઠકની અધ્યક્ષતા કરશે.
વિજય ચોક પાસે બનીને તૈયાર ‘સેવા તીર્થ’ પરિસર આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને લગભગ ૨.૨૬ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આશરે ₹૧,૧૮૯ કરોડના ખર્ચે વિકસિત આ પરિસરમાં ત્રણ મુખ્ય ઈમારતો છે- સેવા તીર્થ-૧ (PMO હેડક્વાર્ટર), સેવા તીર્થ-૨ (કેબિનેટ સચિવાલય) અને સેવા તીર્થ-૩ (NSA અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય). આ પરિસરની સાથે જ નવું વડાપ્રધાન નિવાસસ્થાન પણ બનાવવામાં આવી રહ્યું છે, જે નવા સંસદ ભવનની ખૂબ નજીક છે. આ શિફ્ટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનની મૂવમેન્ટને સરળ બનાવવાનો અને સામાન્ય જનતાને થતી ટ્રાફિક સંબંધિત મુશ્કેલીઓ ઘટાડવાનો છે.
PM મોદી આ જ મહિને પોતાના નવા કાર્યાલયમાં શિફ્ટ થઈ શકે છે. આમ તો કેબિનેટની બેઠકો મોટેભાગે ‘૭ લોક કલ્યાણ માર્ગ’ પર યોજાતી રહી છે, પરંતુ સેવા તીર્થમાં હવે કેબિનેટ મીટિંગ માટે એક વિશેષ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ, ખાલી થનારા સાઉથ અને નોર્થ બ્લોકને જાહેર ઉપયોગ માટે સંગ્રહાલયોમાં ફેરવવાની યોજના છે. નોર્થ બ્લોકમાં સંગ્રહાલય બનાવવાનું કામ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનાથી આવનારી પેઢીઓ ભારતનો વહીવટી વારસો નજીકથી જોઈ શકશે.

