નવી દિલ્હી, 9 ડિસેમ્બર, સરકારે સોમવારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 26માં ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે.
કેબિનેટની નિમણૂક સમિતિએ મલ્હોત્રાના નામને મંજૂરી આપી દીધી છે. તેમને 11 ડિસેમ્બરથી ત્રણ વર્ષ માટે આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી મલ્હોત્રા શક્તિકાંત દાસનું સ્થાન લેશે. દાસનો કાર્યકાળ મંગળવારે એટલે કે 10 ડિસેમ્બર, 2024ના રોજ પૂરો થાય છે.
મલ્હોત્રા (56) આરબીઆઈના 26મા ગવર્નર હશે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
મલ્હોત્રાએ તેમની 33 વર્ષથી વધુની કારકિર્દીમાં પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ખાણો સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે.
હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ છે.
અગાઉ તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ હતા.
તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્તરે નાણા અને કરવેરા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.
ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ આરબીઆઈના 25મા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ તેમને સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેમનો બીજો કાર્યકાળ મંગળવારે પૂરો થઈ રહ્યો છે.
સરપ્લસ ટ્રાન્સફરના મુદ્દે આરબીઆઈ અને સરકાર વચ્ચેની ખેંચતાણ વચ્ચે પટેલે અચાનક રાજીનામું આપી દેતાં બજારને ફટકો પડ્યો હતો. દાસે આરબીઆઈ ગવર્નરનો ચાર્જ સંભાળવાની બજારને ખાતરી આપી હતી.

