નવી દિલ્હી, તા. 5 : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હું કોઈ દ્વિપક્ષીય વાતચીતના હેતુ સાથે પાકિસ્તાન જઈ રહ્યો નથી. ચાલુ મહિને જ પાક જઈશ, પરંતુ ત્યાં માત્ર એસસીઓના નેતાઓની બેઠકમાં સામેલ થઈશ, તેવું તેમણે દિલ્હીમાં આઈસી સેંટર ફોર ગવર્નન્સની સરદાર પટેલ વ્યાખ્યાનમાળામાં જણાવ્યું હતું. વિદેશપ્રધાને લેબેનોન અને ઈઝરાયલ વચ્ચે જારી સંઘર્ષના સંદર્ભ સામે કહ્યું હતું કે, સંઘર્ષ યુક્રેનમાં હોય કે પશ્ચિમ એશિયામાં અસર તો પડવાની જ છે.

મધ્ય-પૂર્વ હવે અવસર નહીં, પરંતુ ઊંડી ચિંતાનો વિષય બની ગયા છે. ભારત સહિત આખી દુનિયા ચિંતિત છે. કોઈ પણ અન્ય પાડોશીની જેમ ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા ઈચ્છશે, પરંતુ સીમાપાર આતંકવાદને અવગણીને તો નહીં જ, તેવું જયશંકર બોલ્યા હતા. વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, હું ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવાના હેતુ સાથે જતો જ નથી, માત્ર એસસીઓના એક સારા સભ્ય તરીકે જવાનો છું.

