Sonam Wangchuk End Hunger Strike: વૈજ્ઞાનિક, શિક્ષણવિદ અને સમાજસેવક સોનમ વાંગચુકે પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. તેમણે 26 દિવસ પહેલાં અનશનની શરૂઆત કરી હતી. NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિના વિરોધમાં વાંગચુકે જંતર-મંતર ખાતે અનશનની શરૂઆત કરી હતી. તબિયત બગડવાનું કારણ દર્શાવીને સરકારે તેમને પહેલા સફદરજંગ હોસ્પિટલમાં રાખ્યા હતા અને ત્યારબાદ વેદાંતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વેદાંતા હોસ્પિટલમાં તેમનું અનશન સમાપ્ત કરાવ્યું.
સોનમ વાંગચુકે જાહેર કર્યો વિડિયો
પોતાનું અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચુકે એક વિડિયો જાહેર કરીને માહિતી આપી છે. અનશન સમાપ્ત કરવાના નિર્ણય અંગે તેમણે જણાવ્યું, “નમસ્કાર મિત્રો, આજે અનશનના 26મા દિવસે હું તમને એક ખાસ સમાચાર જણાવવા માંગું છું. હાલમાં રાત્રિના લગભગ સાડા 12 વાગ્યા છે. થોડા સમય પહેલાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાહેબ અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાહેબ અહીં આવ્યા હતા. લદ્દાખ એપેક્સ બોડીના ટોચના નેતાઓ પણ અહીં આવ્યા હતા. તે પહેલાં વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદો અહીં આવ્યા હતા અને હસ્તાક્ષર કરીને અમને અનશન સમાપ્ત કરવાની વિનંતી કરી હતી. તેમણે સંસદમાં આ મુદ્દાઓ, NEET પ્રશ્નપત્ર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે ચર્ચા કરવાની ખાતરી આપી હતી.”
END OF HUNGER… BEGINNING OF ACCOUNTABILITY…!
Sonam Wangchuk ends his fast after 26 days upon getting assurance from the government and members of parliament of all political parties that the issue of accountability in the failing examination system will be discussed on the… pic.twitter.com/0C9YX5VlsL— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
સોનમ વાંગચુકે આગળ જણાવ્યું કે સરકાર તરફથી તેમને લેખિત આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “સરકાર તરફથી આવેલા મંત્રીઓએ પણ અમને લેખિત આશ્વાસન આપ્યું છે. છેલ્લા બે દિવસથી આ મુદ્દે ખૂબ જ કઠોર ચર્ચા ચાલી રહી હતી. મેં સ્પષ્ટ કહ્યું હતું કે મને માત્ર મૌખિક નહીં, પરંતુ લેખિત આશ્વાસન જોઈએ. આ પ્રક્રિયામાં બે દિવસ લાગ્યા અને તેથી મને અનશનમાં બે દિવસ વધુ બેસવું પડ્યું. જરૂર પડતી તો હું વધુ દિવસો સુધી પણ અનશન ચાલુ રાખત.”
સરકારે સોનમ વાંગચુકને શું વચન આપ્યું?
જે.પી. નડ્ડાએ સરકાર તરફથી આપવામાં આવેલા લેખિત આશ્વાસનને વાંચીને સોનમ વાંગચુકને સંભળાવ્યું હતું. સોનમ વાંગચુકે તેનો ફોટો પણ પોતાના વિડિયોમાં દર્શાવ્યો છે.
તેમાં લખવામાં આવ્યું છે, “સરકાર જંતર-મંતર, દિલ્હી ખાતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારા લોકો તેમજ 20 જુલાઈ, 2026ના રોજ સંસદ સુધી યોજાયેલા માર્ચમાં ભાગ લેનાર લોકો સામે કોઈપણ પ્રકારના ગુના નોંધવાના પક્ષમાં નથી. સરકાર અગાઉથી જ સંસદમાં પ્રશ્નપત્ર લીકની સમસ્યાનો ઉકેલ શોધવા તથા પરીક્ષા વ્યવસ્થામાં શૈક્ષણિક સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવાની ખાતરી આપી ચૂકી છે. આ ઉપરાંત, તાજેતરના NEET પ્રશ્નપત્ર લીક સાથે જોડાયેલા આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને યોગ્ય વળતર આપવા અંગે પણ સરકાર હકારાત્મક રીતે વિચારણા કરી રહી છે.”

