હાથરસ, તા. 2 : ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ભોલેબાબાએ યોજેલા સત્સંગમાં 122 લોકોનાં મોત થયાં હતા. ત્યારે પેન્ટ-સૂટ પહેરી સિંહાસન પર બેસીને સત્સંગ કરનારા સૂરજ પાલ ઉર્ફે ભોલેબાબાના નામથી પ્રસિદ્ધ સંત કોણ છે તે અંગે પણ ચોમેર ચર્ચાઓ જાગી છે. એક મીડિયા હેવાલ મુજબ, ભોલેબાબા મૂળે કાસગંજના પટિયાલી ગામના છે, જેમણે ત્યાં પોતાનો આશ્રમ પણ બનાવ્યો છે. સંત બનવાથી પહેલાં તે યુપી પોલીસમાં નોકરી કરતા હતા.

18 વર્ષ પહેલાં તેમણે નોકરી મૂકી હતી અને ગામડે-ગામડે ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો, જે દરમિયાન તેમને દાન પણ મળ્યું હતું. બાદમાં ભોલેબાબાએ વિવિધ સ્થળે સત્સંગ કરવાનું શરૂ કર્યું હતું. હાલના સમયમાં તેમના અનુયાયીઓની સંખ્યા લાખોમાં છે. નારાયાણ સાકાર હરિના નામથી જાણીતા ભોલેબાબા અન્ય સંતો કરતાં અલગ વેશભૂષામાં પ્રવચન આપે છે. સફેદ રંગના પેન્ટ-શર્ટ પહેરી સિંહાસન પર બેસીને સત્સંગ કરે છે, જ્યારે મોટાભાગના અનુયાયીઓ ગુલાબી વત્રો તથા સફેદ ટોપી પહેરે છે. ભોલેબાબા ભક્તોને મોહમાયાથી પર રહેવાનો ઉપદેશ આપે છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં તેમના કાર્યક્રમ હોય ત્યારે અનુયાયીઓ સત્સંગની વ્યવસ્થા સંભાળે છે.

