Tamil Nadu Assembly Election 2026: વિજયની પાર્ટી સાથે તમિલનાડુમાં કેમ નથી બની રહ્યું NDAનું સમીકરણ?

Arati Parmar
4 Min Read

Tamil Nadu Assembly Election 2026 ની તારીખોની જાહેરાત બાદ અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું TVK, ભાજપ અને AIADMK એકસાથે આવી શકે છે? ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. તમિલનાડુના રાજકારણમાં છેલ્લા એક અઠવાડિયાથી TVK અને NDA વચ્ચે સંભવિત ગઠબંધનને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. પરંતુ જો ઊંડાણપૂર્વક જોઈએ તો, આ જોડાણ વાસ્તવિકતા ઓછી અને કલ્પના વધારે લાગે છે.

ભાજપે માહોલ બનાવવાનો પ્રયાસ જરૂર કર્યો છે. વિજય પ્રત્યે નરમ વલણ દાખવવામાં આવ્યું. “દરવાજા ખુલ્લા છે” – જેવા નિવેદનો આવ્યા. અને કરૂર કેસને CBI ને ટ્રાન્સફર કરવો, આ બધું સંકેત આપે છે કે અંદરખાને કંઈક રંધાઈ રહ્યું છે, પરંતુ અસલ રાજકીય ગણિત અને જમીની હકીકત આ વાર્તાને પલટી નાખે છે. રાજકીય સમીકરણો જણાવે છે કે જો DMK વિરુદ્ધ આ ત્રણેય પક્ષો એક થઈ જાય તો 2026 ની ચૂંટણીમાં ખેલ બદલાઈ શકે છે. પરંતુ અહીં રાજકારણ માત્ર નંબરનું નથી, પણ અહંકાર, નેતૃત્વ અને ઓળખનું પણ છે.

- Advertisement -

તે દીવાલો, જે ગઠબંધન માટે અવરોધ બની રહી છે

AIADMK જ્યારે થી ઈડાપડ્ડી કે. પલાનીસ્વામીના નેતૃત્વમાં આવી છે, તેઓ પોતાનું નેતૃત્વ છોડવા તૈયાર નથી. છેલ્લા ઘણા વર્ષોથી તમિલનાડુનું રાજકારણ DMK અને AIADMK – આ બંને પક્ષોની આસપાસ જ ફરતું રહ્યું છે. એવામાં બીજા નંબર પર આવવું પલાનીસ્વામી માટે રાજકીય આત્મહત્યા જેવું હશે.

બીજી તરફ, અભિનેતામાંથી નેતા બનેલા વિજયનું રાજકારણ ખુદ તેમના ચહેરા પર ટકેલું છે. આ તેમણે પોતે પણ જણાવ્યું છે. રાજ્યની 234 બેઠકો પર તેઓ પોતાને જ ચહેરો ગણાવી ચૂક્યા છે. એવામાં તેમનું રાજકારણ આ જ નેરેટિવ પર ટકેલું છે કે “હું જ ચહેરો છું.” પરિણામે હાલમાં તો એવું લાગતું નથી કે તેઓ કોઈના નેજા હેઠળ રહીને ચૂંટણી લડે, એક રીતે કહીએ તો આ અશક્ય છે.

- Advertisement -

વિજય માટે જોખમ કે ફાયદો?

જો વિજય ભાજપ સાથે જાય છે, તો તે લઘુમતી મતદારોમાં એવો સંદેશ આપશે કે તેઓ તમિલ ઓળખ સાથે બાંધછોડ કરી રહ્યા છે. ભાજપ સાથે ગઠબંધન કરવું વિજયને ખાસ કરીને લઘુમતી મતદારો વચ્ચે નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, તે DMK ને એક મોટું હથિયાર આપી દેશે કે “અમે જ તમિલ ઓળખ અને રાજ્યના અધિકારોના અસલી રક્ષક છીએ.”

શું વિજયની પાર્ટી રાજ્યમાં બીજા નંબરની પાર્ટી બનશે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે TVK એટલે કે વિજયની પાર્ટી આગામી ચૂંટણીમાં આશરે 20 ટકા વોટ લાવી શકે છે. કાગળ પર આ NDA સાથે મળીને ‘સુપરપાવર’ બની શકે છે, પરંતુ ચૂંટણીઓ એક્સેલ શીટ પર નથી લડાતી કારણ કે ચૂંટણી પરિણામો મતદારોના મૂડ પર નિર્ભર કરે છે. જોકે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે TVK, AIADMK ને પાછળ છોડી શકે છે. પરંતુ મોટો સવાલ એ છે કે શું વિજયનો સ્ટારડમ ખરેખર મતોમાં બદલાઈ શકે છે? તમિલનાડુના રાજકારણમાં આવું પહેલા થતું રહ્યું છે (જયલલિતા અને MGR ઉદાહરણ છે), પણ આ ટ્રાન્ઝિશન હંમેશા સરળ રહ્યું નથી.

- Advertisement -

હેડલાઇન છે, હકીકત નથી

રાજકીય પાનાઓ ફેરવતા દેખાય છે કે ઘણીવાર ચૂંટણી પહેલા જે ગઠબંધન અશક્ય લાગે છે, તે પરિણામો આવ્યા બાદ વાસ્તવિક રૂપ લે છે. અત્યારે તમિલનાડુમાં DMK ગઠબંધન એક તરફ છે, બીજી તરફ NDA અને AIADMK છે, તો ત્રીજો પક્ષ વિજયની TVK છે. જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવશે, ચિત્ર વધુ સ્પષ્ટ થતું જશે. પરંતુ TVK–NDA ગઠબંધન હાલમાં માત્ર હેડલાઇન્સમાં છે, જમીની હકીકત પર નહીં.

Share This Article