Vande Mataram Protocol 2026: વંદે માતરમની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રગીત ગાવવા અને વગાડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે વિશેષ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમના સત્તાવાર છ અંતરાઓનું ગાયન કે વાદન અનિવાર્ય રહેશે, જેનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે નવા પ્રોટોકોલ હેઠળ તિરંગો લહેરાવતી વખતે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના આગમન-પ્રસ્થાન સમયે તથા રાષ્ટ્રજોગ સંબોધન પહેલા અને પછી વંદે માતરમ્ પ્રસ્તુત કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત એકસાથે ગાવાના હોય, તો પહેલા રાષ્ટ્રગીત ગાવવામાં આવશે.
ગૃહ મંત્રાલયની સૂચનાઓમાં સ્પષ્ટ છે કે વંદે માતરમ્ વાગતી વખતે દરેક વ્યક્તિએ ઊભા રહેવું અનિવાર્ય રહેશે, જોકે સિનેમા હોલ જેવા સ્થળોએ આ અનિવાર્યતા લાગુ થશે નહીં. સરકારે એમ પણ જણાવ્યું છે કે દેશભરની શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના સામૂહિક ગાયનથી થવી જોઈએ.
ક્યારે થશે રાષ્ટ્રગીતનું વાદન?
સિવિલ સન્માન સમારોહના અવસરે.
ઔપચારિક રાજકીય સમારોહ અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન અને વિદાય વખતે.
આકાશવાણી અને દૂરદર્શન પરથી રાષ્ટ્રપતિના સંદેશ પ્રસારિત થાય તે પહેલા અને પછી.
રાજ્યપાલ કે ઉપરાજ્યપાલના આગમન અને વિદાય સમયે.
રાષ્ટ્રીય ધ્વજને પરેડમાં લઈ જતી વખતે.
ભારત સરકાર દ્વારા નિર્દેશિત અન્ય કોઈ વિશેષ અવસરે.
રાષ્ટ્રગીતનું સામૂહિક ગાયન
સાંસ્કૃતિક કાર્યક્રમો કે સમારોહમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતી વખતે.
સરકારી કે જાહેર સમારોહમાં રાષ્ટ્રપતિના આગમન સમયે અને વિદાયના તુરંત પહેલા.
મંત્રીઓની ઉપસ્થિતિવાળા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ગાઈ શકાય છે.
તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત રાષ્ટ્રગીતથી થવી જોઈએ.
સ્વતંત્રતા સંગ્રામમાં દેશભક્તિનો જોશ
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું છે અને તે તેમની નવલકથા ‘આનંદ મઠ’ માંથી લેવામાં આવ્યું છે. વંદે માતરમ્ સૌપ્રથમ ૧૮૯૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેને ભારતનું રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભક્તિ અને બલિદાનની ભાવના જગાડવા માટે આ સૌથી મોટું માધ્યમ હતું. અગાઉ રાષ્ટ્રગીતના પ્રથમ બે છંદો આશરે ૬૫ સેકન્ડમાં ગાવામાં આવતા હતા, પરંતુ હવે છ છંદોના રાષ્ટ્રગીત માટે ૩ મિનિટ ૧૦ સેકન્ડનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

