ગ્રોસ આઇલેટ (સેંટ લૂસિયા) તા. 23 : આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ ટી-20 વિશ્વકપ સુપર-8 રાઉન્ડની પોતાની આખરી મેચમાં સોમવારે ઓસ્ટ્રેલિયાને હાર આપીને સેમિ ફાઇનલમાં પ્રવેશના ઇરાદે મેદાનમાં ઉતરશે. જયારે અફઘાનિસ્તાન વિરૂધ્ધની આંચકારૂપ હાર બાદ ઓસ્ટ્રેલિયા માટે આ કરો યા મરો સમાન મુકાબલો છે. ભારત સામેની હારથી 2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો સર્જાશે.

અફઘાનિસ્તાન સામેની હાર બાદ કાંગારૂ ટીમે એવી પ્રાર્થના કરવી પડશે કે રાશિદખાનની ટીમ બાંગલાદેશ સામેની મેચ હારી જાય. એ મેચ ભારતીય સમય મુજબ મંગળવારે સવારે 6-00 વાગ્યે રમાવાનો છે. આઇસીસી ટૂર્નામેન્ટમાં ઘણીવાર ઓસ્ટ્રેલિયા સામે હાર સહન કરનાર ભારતીય ટીમ તેના મજબૂત હરીફને ટૂર્નામેન્ટમાં જલ્દીથી બહાર કરવા માટે કોઇ કસર છોડશે નહીં. ભારત સુપર-8માં અફઘાનિસ્તાન અને બાંગલાદેશને હાર આપી ચૂકયું છે. હવે ટીમ ઇન્ડિયાનું એકમાત્ર લક્ષ્ય ઓસ્ટ્રેલિયાને આંચકો આપી સેમિ ફાઇનલમાં શાનથી અને અપરાજિત રહીને પ્રવેશ કરવા પર છે. ભારત માટે આ ટૂર્નામેન્ટમાં સૌથી સારી સકારાત્મક વાત હાર્દિક પંડયાનું હરફનમૌલા પ્રદર્શન રહ્યંy છે. તેણે બોલ અને બેટ બન્નેથી કૌશલ બતાવ્યું છે.
કુલદીપ યાદવની ફીરકી પણ કેરેબિયન પિચો પર અસરદાર સાબિત થઇ છે. સુપર-8ની ત્રણ મેચ એક-એક દિવસના અંતરમાં રમવાની હોવા છતાં કોચ રાહુલ દ્રવિડ અને કપ્તાન રોહિત શર્મા અલગ અલગ ક્રિકેટરોને રમાડવાના પ્રયોગથી દૂર રહી છે. કારણ કે અહીં દરેક મેચ આર યા પાર સમાન છે. શનિવારે રાત્રે અહીં પહેચેલી ભારતીય ટીમે અભ્યાસ કર્યો નથી. ડેરેન સામી સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ દિવસનો છે. (ભારતીય સમય મુજબ રાત્રે 8-00) અહીં પાછલી મેચમાં ઇંગ્લેન્ડ ટીમ આફ્રિકા વિરૂધ્ધ 164 રનના લક્ષ્યનો પીછો કરી શકી ન હતી. આ મેચમાં અફઘાન સામેના ફલોપ શો બાદ ઓસિ. ટીમે તેના દેખાવમાં ઘણો સુધાર કરવો પડશે. ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડીંગમાં પણ સુધારો કરવો પડશે. બીજી તરફ રોહિતની ટીમ વિજયક્રમ જાળવી રાખવા ઉત્સુક છે.

