Ireland vs India T20: આયર્લેન્ડે બેલફાસ્ટમાં રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં ભારતને ૩૪ રનથી હરાવી દીધું. આ આયર્લેન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત પર પ્રથમ જીત છે. ભારતે મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આયર્લેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૮૨ રન બનાવ્યા. આ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ ૧૪૮ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અભિષેક શર્માએ ૪૯ અને શિવમ દુબેએ ૨૫ રન બનાવ્યા. આયર્લેન્ડ તરફથી ટીમના કેપ્ટન લોર્કન ટકરે ૫૦ અને ગેરેથ ડેલેનીએ ૪૯ રન બનાવ્યા.
બોલરોનું શાનદાર પ્રદર્શન અને ભારતીય બોલિંગની નબળાઈ
ભારત તરફથી અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી. મેચમાં આયર્લેન્ડના બોલરોએ કમાલ કરી દીધી. મેથ્યુ હમ્ફ્રીઝ અને મેટ હોલાર્ડે પોતાની ટીમ માટે ત્રણ-ત્રણ વિકેટ મેળવી જ્યારે જય મૂંદ્રાએ બે વિકેટ પોતાના નામે કરી. પરંતુ ભારતીય બોલરો એટલા કિફાયતી સાબિત થયા નહીં. પ્રસિદ્ધ કૃષ્ણાએ ૪ ઓવરના સ્પેલમાં ૫૭ રન આપી દીધા, જેમાંથી ૨૭ રન એક જ ઓવરમાં આપી દીધા.
શું બોલ્યા કેપ્ટન શ્રેયસ અય્યર?
મેચ પછી શ્રેયસ અય્યરે કહ્યું, “શરૂઆતમાં અમારા બોલરો ખૂબ જ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. પરંતુ વચ્ચેની ઓવરોમાં અમે અમારી યોજના મુજબ બોલિંગ કરી શક્યા નહીં અને વિરોધી બેટ્સમેનોને સીધા મેદાનની સામેની તરફ શોટ રમવાની તક આપી દીધી, જ્યાં બાઉન્ડ્રી નાની હતી.” “મને લાગ્યું હતું કે બોલરોએ જેવી શરૂઆત અપાવી હતી, તેના હિસાબે ૧૪૦ રનનો લક્ષ્ય સારો રહેત. પરંતુ હા, કેપ્ટન તરીકે આ શાનદાર શરૂઆત રહી.” તેમણે હસતા હસતા આ વાત કહી. તેમણે આગળ કહ્યું, “જે થયું તેને અમે પાછળ છોડી દઈશું. આ મેચમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે. આગામી મુકાબલામાં અમે પૂરી તૈયારી અને આક્રમક ઈરાદા સાથે ઉતરીશું.” “શરૂઆતમાં ઝડપી બોલરોને ઘણી મદદ મળી રહી હતી. શિવમ મહત્વની ઓવર ફેંકે છે, તેથી મને તેમના પર હંમેશા ભરોસો રહે છે. ઈજામાંથી વાપસી કરી રહેલા હર્ષિત રાણાએ પણ શાનદાર બોલિંગ કરી.” અય્યરે કહ્યું કે ટીમ માટે તેમનો સંદેશ એ છે કે કોઈપણ વસ્તુને હળવાશથી લેવી જોઈએ નહીં.
આયર્લેન્ડના કેપ્ટને શું કહ્યું
આયર્લેન્ડ ટીમના કેપ્ટન લોર્કન ટકરે કહ્યું, “આ જીત અમારા માટે ખૂબ જ ખાસ છે. મેચ દરમિયાન ઘણા મુશ્કેલ દોર આવ્યા, પરંતુ અમે હાર માની નહીં અને અમારી યોજના પર અડગ રહ્યા.” “ભારતે શરૂઆતમાં શાનદાર બોલિંગ કરી. બોલરોએ સાચી લેન્થ પર સતત બોલ નાખ્યા, જેનાથી સારા શોટ રમવા અમારા માટે ખૂબ મુશ્કેલ બની ગયું. થોડા સમય માટે તો આ મુકાબલો ટેસ્ટ મેચ જેવો અનુભવાઈ રહ્યો હતો.” “પોતાના ઘરેલુ મેદાન પર વિશ્વ ચેમ્પિયન ભારતને હરાવવી એ ખૂબ જ ખાસ ઉપલબ્ધિ છે. તેનો પૂરો શ્રેય અમારી ટીમના ખેલાડીઓ અને પડદા પાછળ સતત મહેનત કરનારા ક્રિકેટ આયર્લેન્ડના સહયોગી સ્ટાફને જાય છે.” ડેબ્યુ કરનારા ખેલાડીઓ પર તેમણે કહ્યું, “તેમણે ઘણી ધીરજ અને જુસ્સો બતાવ્યો. અમે ભારતની બોલિંગમાંથી શીખ મેળવી અને અમારા બોલરોએ સતત સાચી જગ્યાએ બોલ નાખવાની શાનદાર ક્ષમતા દેખાડી.” રવિવારે થનારી આગામી મેચ અંગે તેમણે કહ્યું, “ઘરેલુ મેદાન પર ભારત વિરુદ્ધ શ્રેણી જીતવી અમારા માટે ખૂબ ખાસ હશે. ટીમના તમામ ખેલાડીઓ ફરીથી મેદાનમાં ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.”
સૂર્યવંશીને જગ્યા નહીં
આ મેચ માટે ભારતના યુવા તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર ક્રિકેટ ફેન્સની ખાસ નજર હતી, જોકે તેમને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી નહીં. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, “આ અમારા માટે નવી પિચ છે. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓએ અહીં પહેલા રમ્યું નથી. તેથી પરિસ્થિતિને જોતા અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.” સૂર્યવંશીના રમવા પર પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું, “દુર્ભાગ્યવશ નહીં. તે શાનદાર ખેલાડી છે, પરંતુ અમારી ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમણે અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે, તેથી અમે તેમના પર ભરોસો વ્યક્ત કરી રહ્યા છીએ. સમય આવ્યે તેમને પણ તક મળશે.” ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર માઈકલ વોને સૂર્યવંશીના નહીં પસંદ થવા પર નવાઈ વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વોને લખ્યું, “યકીન નથી થઈ રહ્યું કે ભારતે વૈભવ સૂર્યવંશીને પસંદ નથી કર્યા. આ સમયે તે દુનિયાના સર્વશ્રેષ્ઠ ટી૨૦ ખેલાડીઓમાંથી એક છે.” પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે સૂર્યવંશીને નહીં રમાડવાના ભારતીય ટીમ મેનેજમેન્ટના નિર્ણયના વખાણ કર્યા. માંજરેકરે એક્સ પર લખ્યું, “ભારતનો પોતાના ફોર્મમાં ચાલી રહેલા ઓપનર્સ અને ટી૨૦ વિશ્વ કપ જીતાડનારા ખેલાડીઓ સાથે છેડછાડ ન કરવાનો નિર્ણય સાચો છે. ‘બહારનો શોર’ ને ફક્ત બહારનો શોર જ બની રહેવું જોઈએ, જ્યારે ડ્રેસિંગ રૂમમાં શાંતિ અને યોગ્યતાના આધારે નિર્ણયો થવા જોઈએ.”

