સતત ચાર મેચ હાર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કે, અમે સારી ફિલ્ડિંગ ન કરી અને ઘણી કેચ ડ્રોપ કરી દીધી, જેના કારણે વધારાના રન પણ બન્યા હતા. ગાયકવાડે એમ પણ કહ્યું કે, પ્રિયાંશ આર્યએ શાનદાર બેટિંગ કરી છે, જેના માટે તેની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે.
આ સાથે જ તેણે એમ પણ કહ્યું કે, અહીં ટાર્ગેટમાં જો 10થી 15 રન ઓછા હોત તો અમે આ મેચ પોતાના નામે કરી શક્યા હોત, પરંતુ હવે અમારે આગામી મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર છે.
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ગાયકવાડે મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે, ‘છેલ્લી ચાર મેચમાં કેચ છોડવું એ એક માત્ર અંતર છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. દર વખતે જ્યારે આપણે કેચ છોડીએ છીએ ત્યારે એ જ બેટ્સમેન 20, 25 કે 30 વધારાના રન બનાવે છે. પરંતુ જો તમે RCBની મેચ છોડી દો તો છેલ્લી ત્રણ મેચમાં ટાર્ગેટ ચેઝ કરતી વખતે એક, બે કે ત્રણ મોટા શોટની વાત હતી.’
ઋતુરાજ ગાયકવાડે પ્રિયાંશ આર્યની ખૂબ પ્રશંસા કરી
ઋતુરાજ ગાયકવાડે પંજાબ કિંગ્સ માટે સદી ફટકારનાર પ્રિયાંશ આર્યની પ્રશંસા કરતા કહ્યું કે, ‘ક્યારેક-ક્યારે તમારે પ્રિયાંશ જે રીતે રમ્યો તેની પ્રશંસા કરવી જોઈએ. તેણે પોતાની તક ઝડપી. તે ખૂબ જ જોખમી બેટિંગ હતી અને તે તેના માટે ખૂબ જ સારી રીતે કામ આવી. ભલે અમે વિકેટ લઈ રહ્યા હતા પરંતુ તેણે ગતિ જાળવી રાખી. આખરે તે ડ્રોપ કેચ પર પણ આધાર રાખે છે. આજે બેટિંગના દૃષ્ટિકોણથી બધું બરાબર હતું. અમે એ જ ઈચ્છતા હતા. અમારા શ્રેષ્ઠ બેટ્સમેન જે ફાસ્ટ બોલિંગ ખૂબ સારી રીતે રમી શકે છે, તેઓ ઉપરના ક્રમમાં આવ્યા અને શાનદાર પાવરપ્લે રમ્યા. તે શ્રેષ્ઠ અને સુધરેલું પ્રદર્શન હતું અને તેમાં ઘણા સકારાત્મક પાસા હતા.’
ગાયકવાડે ડેવોન કોનવેના રિટાયરિંગ હર્ટ અંગે કહ્યું કે, ‘કોનવે બોલને સારી રીતે ટાઈમ કરે છે, ઉપર બેટિંગ કરતા તે ખૂબ ઉપયોગી છે. જ્યારે તમારી પાસે જડ્ડુ જેવો ખેલાડી હોય, જે ખાસ કરીને ફિનિશિંગ ભૂમિકા માટે જાણીતો છે, ત્યારે તમે તેવી અપેક્ષા રાખો છો. જ્યારે તમને ખ્યાલ આવે છે કે કોઈ બેટ્સમેન સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે શરૂઆતમાં તે (કોનવે) હજુ પણ સારી રીતે ટાઈમ કરી રહ્યો હતો. તે સંઘર્ષ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી અમે રાહ જોઈ રહ્યા હતા.’