નવી દિલ્હી, તા. 25 : વિશ્વ આરોગ્ય સંગઠન (હુ) દ્વારા કોરોના અંગેનો એક ચોંકાવનારો અહેવાલ જાહેર કરાયો છે. તેમાં જણાવાયું છે કે, કોવિડનાં કારણે લોકોનું સરેરાશ આયુષ્ય બે વર્ષ ઘટી ગયું છે.
ગત એક દાયકામાં આયુષ્ય વધવાની સંભાવનાઓ વધી હતી, પરંતુ મહામારીને લીધે તેમાં ઘટાડો નોંધાયો છે. હુએ કહ્યું હતું કે, કોરાનાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. અનેક પ્રકારની બીમારીઓ વધી છે, જેના કારણે લોકોનાં આયુષ્યમાં ઘટાડો થયો છે. કોવિડનાં કારણે સરેરાશ વૈશ્વિક આયુષ્યનો દર 1.8 વર્ષ ઘટીને 71.4 વર્ષ પર આવી ગયો છે. અગાઉ વર્ષ 2012માં આ રેશિયો નોંધાયો હતો. જ્યારે અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં પણ ત્રણ વર્ષનો ઘટાડો થયો છે.

અહેવાલ મુજબ છેલ્લી અડધી સદીમાં બનેલી અન્ય ઘટનાઓની તુલનાએ સૌથી વધુ કોરોનાના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. આ મુદ્દે ડબલ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્રિયસે જણાવ્યું હતું કે, આ ડેટા સામે આવ્યા બાદ વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા મજબૂત કરવા તેમજ આરોગ્ય ક્ષેત્રે લાંબાગાળાનું રોકાણ વધારવા માટે મહત્ત્વનું પાસું બની રહેશે. આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ કહ્યું કે, કોરોનાએ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડવા ઉપરાંત તે સમયે સર્જાયેલી પરિસ્થિતિએ પણ સમગ્ર વિશ્વમાં કુપોષણનો ભાર વધાર્યો છે.
વર્ષ 2022માં પાંચ કે તેથી વધુ ઉંમરના એક અબજ લોકો સ્થૂળતાથી પીડિત હતા, જ્યારે તેનાથી વધુ લોકોનું વજન પણ ઘટી ગયું હતું તેમજ કુપોષણની સંખ્યામાં વધારો થયો હતો.

