માત્ર સાત મિનિટમાં બ્રિટનમાં ઈન્જેક્શનની મદદથી કેન્સરની સારવાર
Friday, 01 September 2023
માત્ર સાત મિનિટમાં બ્રિટનમાં ઈન્જેક્શનની મદદથી કેન્સરની સારવાર
નેશનલ હેલ્થ સર્વિસ અંતર્ગત દર્દીઓનો ઉપચાર શરૂ કરાયો
– કેન્સરની ઝડપી સારવાર માટે ઈન્જેક્શન થેરાપી લોન્ચ કરાનો બ્રિટન પહેલો દેશ હશે : એનએચએસ
– ઈન્ટ્રોવર્શન ટ્રિટમેન્ટમાં અત્યાર સુધી 30 થી 60 મિનિટ સુધીનો ટાઈમ લાગતો હતો
નવી દિલ્હી : બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ કેન્સરના દર્દીઓનો નવો ઉપચાર શરૂ કરાયો છે. એક ઈન્જેક્શન આપીને વિવિધ પ્રકારના કેન્સરના દર્દીઓનો ઈલાજ સાત મિનિટમાં કરવામાં આવશે. ખાસ પ્રકારની આ દવાને મેડિકલ રેગ્યુલેટરી એજન્સીના નિષ્ણાતોએ મંજૂરી આપ્યા બાદ દર્દીઓને આપવામાં આવી રહી છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે કેન્સરના દર્દીઓની સારવારનો સમય આ દવાથી ઘણો ઓછો થશે અને તેમનું આયુષ્ય લાંબું થશે.
નેશનલ હેલ્થ સર્વિસના વડા પીટર જ્હોન્સનના કહેવા પ્રમાણે કેન્સરની સારવાર લઈ રહેલાં દર્દીઓને એક ઈન્જેક્શન આપવામાં આવશે. તેનાથી કેન્સરની સારવાર સરળ બનશે. ઝડપથી સારવાર થશે અને કેન્સરના દર્દીઓ દીર્ઘાયૂષી થશે. સાત મિનિટમાં કેન્સરનો ઈલાજ કરતું આ ઈન્જેક્શન દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને ડોક્ટર્સ તેમ જ મેડિકલ સ્ટાફ માટે પણ આ બહુ સારા સમાચાર છે. તેનાથી વધુમાં વધુ દર્દીઓનો ઈલાજ શક્ય બનશે.
અત્યારે આ દવાની પ્રક્રિયામાં ૩૦ મિનિટનો સમય લાગી રહ્યો છે. આ પ્રકારના ડ્રગ્સ આપવામાં સમય ઘટીને સાત મિનિટની પ્રક્રિયા થશે. નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ સારવાર લઈ રહેલાં ૩૬૦૦ દર્દીઓને આ દવા આપવામાં આવશે. અત્યારે આ દર્દીઓને વાર્ષિક સારવાર આપવામાં આવે છે. આ દવાથી કેન્સરના કોશો નાશ પામશે.
એનએચએસે જણાવ્યું કે, કેન્સરની ટ્રિટમેન્ટ માટે ઈન્જેક્શનનો વિકાસ કરનારો બ્રિટન પહેલો દેશ બની રહેશે. બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી એમએચઆરએ દ્વારા એટોજોલિજુબામ નામની ઈમ્યુનોથેરાપીને મંજૂરી આપવામાં આવી છે. તેના દ્વારા એનએચએસ ખાતે કેન્સરના લોકોને સારી અને ઝડપી સારવાર મળી રહેશે. આગામી સમયમાં દુનિયાભરમાં આ ઝડપી સારવાર ઉપલબ્ધ થશે. સ્કીનમાં અપાતા આ ઈન્જેક્શન દ્વારા કેન્સરની જટીલ સારવાર સરળ બની જશે.
પરીક્ષણમાં આ વેક્સિન ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈન્જેક્શનથી કેન્સરના દર્દીઓનો ઈલાજ શરૂ કરનારો બ્રિટન પહેલો દેશ બન્યો છે. ઈટેઝોલિઝુમાબ નામની આ ઈમ્યૂનોથેરાપીથી ચામડીની નીચે દવા મૂકવામાં આવશે. આ દવાથી જટિલ ઉપચારને સરળ બનાવી શકાશે. આ દવાને આરઓજીએસ નામનીએ બનાવી છે. ફેંફસા, સ્તન, લિવર અને મૂત્રાશયના કેન્સરનો ઈલાજ આ દવાથી વધુ સરળ બનશે એવો દાવો બ્રિટિશ એક્સપર્ટ્સે કર્યો હતો.
