India-Pakistan Conflict: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરૂવારે (15 મે) ભારત સામે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાન શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પંજાબના કામરા એરબેઝની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે અધિકારીઓ અને સેનાનું સંબોધન કરતા ઓપરેશન સિંદૂર હેઠળ ભારત-પાકિસ્તાન તણાવ પર વાત કરી અને કહ્યું કે, અમે ભારત સાથે શાંતિ પર વાત કરવા તૈયાર છીએ, જેમાં કાશ્મીરનો મુદ્દો પણ સામેલ હશે. આ સંબોધન દરમિયાન પાક. વિદેશ મંત્રી ઇશાક ડાર, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ, સેના પ્રમુખ જનરલ મુનીર અને વાયુસેના પ્રમુખ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ પણ સામેલ હતા.
કાશ્મીર મુદ્દે શું કહ્યું?
કાશ્મીર મુદ્દે વાત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે, ‘ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે. ભારત હંમેશા ભાર મૂકે છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તેમનો વિભન્ન ભાગ છે અને હંમેશા રહેશે.’
એસ. જયશંકરનો જવાબ
ભારત તરફથી પાકિસ્તાનની આ ઑફર પર કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. જોકે, ગુરૂવારે (15 મે) હોંડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટપણે કહી દીધું હતું કે, કાશ્મીર પર ચર્ચા ફક્ત એક જ વાત વધી છે કે, પાકિસ્તાન PoK (પાક. અધિકૃત કાશ્મીર)માં ગેરકાયદે કબ્જા કરેલા ભારતીય વિસ્તારને ક્યારે ખાલી કરશે?
ઓપરેશન સિંદૂર બાદ ઠંડુ પડ્યું પાકિસ્તાન
નોંધનીય છે કે, પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત સરકારે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં. વળી, પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનના નૂર ખાન, રફીકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, ચુનિયન સહિતના એરબેઝનો ખાત્મો કર્યો હતો.