Nepal Violence: નેપાળમાં હિંસાનો દોષ પૂર્વ રાજા પર? નુકસાનની ભરપાઈનો આદેશ, સુરક્ષા પર અસર!

Arati Parmar
2 Min Read

Nepal Violence: નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે.

રાજા જ્ઞાનેન્દ્ર શાહની સુરક્ષા ઘટાડી

- Advertisement -

સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા 25 સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટાડી 16 કરી છે. તેમજ જૂના તમામ સુરક્ષાકર્મીઓને બદલી નાખવામાં આવ્યા છે. વધુમાં કાઠમાંડૂ નગર નિગમે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાનની ભરપાઈ કરવા નોટિસ પણ મોકલી છે. જેમાં પૂર્વ રાજા પાસે રૂ. 7.93 લાખ નેપાળી રૂપિયા (રૂ. 5 લાખ) ચૂકવવા આદેશ કરાયો છે.

શું હતી ઘટના

28 માર્ચની સવારે આશરે 11.30 વાગ્યે કાઠમાંડૂના તિનકૂને વિસ્તારમાં રાજાશાહી સમર્થક રેલી શરૂ થઈ હતી. આ રેલી સંસદ ભવન નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. 2008માં સમાપ્ત કરવામાં આવેલા રાજતંત્રને ફરીથી લાગુ કરવાની માગ સાથે નીકળેલી આ રેલી અચાનક હિંસક બની હતી. સમર્થકોએ અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી હતી.

હિંસામાં બેના મોત, 15થી વધુ ઘાયલ

આ હિંસામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને સરકાર આક્રમક રીતે તપાસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે અત્યારસુધીમાં 130 લોકોની ધરપકડ કરી લીધી છે.

સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રને જવાબદાર ઠેરવ્યા

નેપાળના ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટના માટે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમની તરફથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા દુર્ગા પ્રસાઈને જવાબદાર ઠેરવ્યા છે. નેપાળે 2008માં સંસદ દ્વારા રાજાશાહી સમાપ્ત કરી હતી. ત્યારબાદ નેપાળ ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક દેશ બન્યો હતો. જો કે, છેલ્લા થોડા સમયથી ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માગ ઉઠી છે. 19 ફેબ્રુઆરી, 2025ના રોજ લોકતંત્ર દિવસ પર્વે નિમિત્તે પૂર્વ રાજાએ પ્રજા પાસે રાજાશાહીને સમર્થન આપવાની અપીલ કરી હતી.

બે નેતાઓને મુક્ત કરવાની માગ

રાજાશાહી સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના વિરોધ બાદ ધરપકડ કરવામાં આવેલા બે નેતાઓ ધવલ શમશેર રાણા અને રવિન્દ્ર મિશ્રાની મુક્તિની માગ કરવામાં આવી હતી. પાર્ટીએ ધમકી આપી છે કે, જો 24 કલાકમાં બંને નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરી જશે. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન જે ઘટના બનશે તેના માટે સરકાર જવાબદાર રહેશે.

Share This Article